સાબરકાંઠા : પ્રાંતિજના ખારી- અમરાપુર ગામે નીકળ્યો વરઘોડો, પણ જુઓ અધવચ્ચે શું બન્યું

New Update
સાબરકાંઠા : પ્રાંતિજના ખારી- અમરાપુર ગામે નીકળ્યો વરઘોડો, પણ જુઓ અધવચ્ચે શું બન્યું

કોવીડની ગાઇડલાઇન પ્રમાણે હાલ રાજયમાં લગ્નપ્રસંગમાં 50 લોકોની વધારેની હાજરી રાખી શકાતી નથી તેવામાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખારી અમરાપુર ગામે વરઘોડામાં જનમેદની ઉમટી પડી હતી. ગાઇડલાઇન કરતાં વધારે લોકો હોવાથી પોલીસે વરરાજા સહિત 17 લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે.


રાજયમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી રાજય સરકારે લગ્નપ્રસંગો માટે ખાસ ગાઇડલાઇન બનાવી છે જેમાં લગ્નમાં માત્ર 50 માણસોને જ આમંત્રિત કરવાનું સુચવવામાં આવ્યું છે. સરકારની ગાઇડલાઇન હોવા છતાં લગ્નમાં જનમેદની ઉમટી પડી હોય તેવા અનેક વિડીયો વાયરલ થઇ રહયાં છે. તાજેતરમાં ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને ભાજપના આગેવાનના પુત્રના લગ્નમાં જનમેદની ડીજેના તાલે હીલોળે ચઢી હતી.

આ બાબતે વિવાદ થતાં આખરે પોલીસે ગુનો નોંધ્યો હતો. તાજેતરમાં દાહોદની મુલાકાતે આવેલાં મુખ્યમંત્રીએ પણ આગામી લગ્નસરાની સીઝનમાં પોલીસને ચાંપતી નજર રાખવા તાકીદ કરી છે.

આવા સંજોગોમાં સાબરકાંઠાના પ્રાંતિજ પાસે આવેલાં ખારી- અમરાપુર ગામે લગ્નપ્રસંગમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો હોવાથી કોઇએ પ્રાંતિજ પોલીસને જાણ કરી દીધી હતી. પ્રાંતિજ પોલીસે ગામમાં દોડી આવી વરઘોડો અટકાવ્યો હતો અને ડીજે કબજે લીધો હતો. કોવીડના જાહેરનામાના ભંગ બદલ વરરાજા ,વરરાજાના કાકા, ડીજેના માલિક, ઘોડાગાડીના માલિક સહિત 17 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories