મોહન ભાગવતે કહ્યું કે ભાગલા સમયે દેશે બહું ઠોકર ખાધી હતી તેને ભૂલી ન શકાય. એટલા માટે ફરી દેશમાં વિભાજન નહીં થાય. કૃષ્ણાનંદ સાગર દ્વારા લખવામાં આવેલી પુસ્તક ‘વિભાજનકાલીન ભારતના સાક્ષી’નોઈડામાં લોકાર્પણ કરતા સંઘ પ્રમુખે કહ્યું કે આ 1947 નથી.2021નું ભારત છે. એક વાર દેશના ભાગલા પડી ચૂક્યા છે હવે ફરી દેશના ભાગલા નહીં પડે. તેમણે કહ્યું કે ભારતને ખંડિત કરવાની વાત કરનારા પોતે ખંડિત થઈ જશે. આ સાથે ભાગવતે અખંડ ભારતની વકીલાત કરતા કહ્યું કે માતૃભૂમિનું વિભાજન ક્યારેય ન ભૂલાનારુ વિભાજન છે. તેમણે કહ્યુ કે આ ભાગલાથી કોઈ પણ ખુશ નથી. આ એક એવી વેદના છે જે ત્યારે ખતમ થશે જ્યારે ભાગલા ખતમ થશે અને આ ભાગલા નિષ્ફળ જશે. તેમનું કહેવું છે કે જે ખંડિત થયું તેને ફરી અખંડ બનાવવું પડશે. ભાગવતે કહ્યું કે યોજનાબદ્ધ રીતે ભારતના ભાગલાનું કાવતરુ ઘડવામાં આવ્યું. જે આજે પણ જારી છે. શાંતિ માટે ભાગલા થયા પરંતુ એ બાદ પણ દેશમાં હિંસા થતી રહી. તેમણે કહ્યું કે હિન્દુસ્તાની ઓળખ હિંન્દુ છે તો તેને સ્વીકારવામાં ખોટું શું છે. ઘર વાપસી પર બોલતા ભાગવતે કહ્યું કે જો કોઈ પોતાના પૂર્વજોના ઘરે પાછા ફરવા માંગે છે તો અમે તેમનું સ્વાગત કરીશું. પરંતુ કોઈ ન આવવા માંગે તો કોઈ વાંધો નથી. આ સાથે તેમણે કહ્યું કે ભારત સમગ્ર સમાજની માતા છે અને તમામ માટે માતૃભૂમિનું સન્માન કરવું જરુરી છે.