-
સુરત પોલીસનું ઓપરેશન મુસ્કાન
-
84 કલાકનું નોનસ્ટોપ સર્ચ ઓપરેશન
-
5 PI, 9 PSI અને 110 જવાનોએ રાત-દિવસ એક કર્યા
-
અપહૃત બાળકી સાથે અન્ય બે બાળકો પણ મુક્ત કરાવાયા
-
ભીખ મંગાવવાના ઇરાદે અપહરણ કરનાર આરોપીની ધરપકડ
સુરત પોલીસના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ ગાથા લખાઈ છે. છાપરાભાઠા તાપી નદીના કિનારેથી ગુમ થયેલી માસૂમ બાળકીને શોધવા માટે પોલીસે જે ઓપરેશન મુસ્કાન હેઠળ સાહસ અને તત્પરતા બતાવી છે, તેનાથી આજે એક પરિવારમાં ફરી ખુશીઓ પરત ફરી છે.
સુરતમાં ગત 2 એપ્રિલ 2026ના રોજ છાપરાભાઠાના ગાર્ડનમાંથી એક માસુમ બાળકીનું અપહરણ થયું હતું. બનાવની જાણ 24 કલાક બાદ થતા પોલીસે તાત્કાલિક 3 એપ્રિલે ગુનો નોંધી ઓપરેશન મુસ્કાન હેઠળ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત પોલીસ કમિશનરની સૂચના હેઠળ 5 પોલીસ ઇન્સ્પેક્ટર, 9 સબ ઇન્સ્પેક્ટર અને 110 પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
પોલીસ સામે પડકાર મોટો હતો.CCTV ફૂટેજ દ્વારા આરોપીની ઓળખ તો પ્રથમ દિવસે જ થઈ ગઈ હતી, પરંતુ તે ક્યાં છુપાયો છે તે જાણવું મુશ્કેલ હતું. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 43 થી વધુ રેલવે સ્ટેશનો ખૂંદી વળવામાં આવ્યા હતા.સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ કરી વોટ્સએપ,ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 1000 થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકીના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા.
84 કલાકના નોનસ્ટોપ ઓપરેશન બાદ, આખરે 6 એપ્રિલની વહેલી સવારે 7 વાગ્યે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી આરોપી પપ્પુ સીનીયા ખડીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો.ચોંકાવનારી વાત એ છે કે આરોપી પણ છાપરાભાઠાનો જ રહેવાસી છે. તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે, નાની બાળકીને જોઈ લોકો સહાનુભૂતિથી જમવાનું અને રૂપિયા આપશે, એટલે કે ભીખ મંગાવવાના ઇરાદે તેણે આ પાપ આચર્યું હતું.
પોલીસને આરોપી પાસેથી માત્ર આ બાળકી જ નહીં, પરંતુ અન્ય બે બાળકો પણ મળી આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ, અમરોલી પોલીસ અને અમદાવાદ નારોલ પોલીસે સાથે મળીને આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. હાલ અન્ય બે બાળકોના વાલીઓની શોધખોળ શરૂ છે.
