ખેલરત્ન મેજર ધ્યાનચંદની જન્મજયંતીના ભાગરૂપે કાર્યક્રમ
'ફિટ ઇન્ડિયા' અભિયાનને પ્રોત્સાહન આપવા તંત્રનું આયોજન
"સન્ડે ઓન સાયકલ" થીમ હેઠળ વિશેષ સાયક્લોથોન યોજાય
કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલના હસ્તે સાયક્લોથોનનું પ્રસ્થાન
મોટી સંખ્યામાં શહેરીજનો સાયક્લોથોનના આયોજનમાં જોડાયા
ફિટ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "સન્ડે ઓન સાયકલ" થીમ હેઠળ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તા. 29 ઓગસ્ટના રોજ ભારતીય હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સુરત શહેરમાં પણ ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સન્ડે ઓન સાયકલ થીમ હેઠળ સાયક્લોથોનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના અઠવાલાઈન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાઈટ જંકશન સુધી સાયક્લોથોન યોજાય હતી. આ સાયક્લોથોનને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલએ જણાવ્યુ હતું કે, આજના આધુનિક યુગમાં તણાવ અને આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે પોતાના સ્વાસ્થ્ય માટે દરરોજ અડધો કલાક વોકિંગ, જોગિંગ, રનિંગ કે અન્ય રમતોમાં ભાગ લેવો જોઈએ. સ્વસ્થ નાગરિક દેશના નિર્માણમાં મહત્વનો ફાળો આપી શકે છે. આ પ્રસંગે સાંસદ, મેયર, કલેક્ટર, કમિશનર સહિત મોટી સંખ્યામાં શહેરીજનો સાયક્લોથોનના આયોજનમાં સહભાગી થયા હતા.