-
મનીષ માર્કેટમાં ભીષણ આગની ઘટના
-
પતરાના શેડ બનાવીને ઉભા કરાયા ગોડાઉન
-
10 જેટલા ગોડાઉન આગની ચપેટમાં આવ્યા
-
ઘટનામાં 19 જેટલા ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી
-
ફાયર લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ
સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાતે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. પતરાના શેડમાં બનાવેલા 10 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા.13 ફાયર સ્ટેશનનાં 19 જેટલા ફાયર બ્રિગેડનાં ટેન્ડરોની મદદથી આગ કાબુમાં લીધી હતી. આ ઘટનામાં મોટી નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં ઓનલાઇન વેપાર કરતી અલગ-અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો. ઓનલાઇન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગત મોડી રાતે એક તરફની 10 ગોડાઉનની લાઈનમાં આગ ભભૂકી ઉઠી હતી.
આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી. ચારે તરફથી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. રાતના 2 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી. હાલ આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.