-
ચોર્યાસી તાલુકાના દેલવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત
-
2 ખેડૂત ભાઈએ મલ્ટી લેયર પ્રાકૃતિક ખેતી કરી બતાવી
-
રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેરડીનું વાવેતર કર્યું
-
ઓછા ખર્ચે ઉચી આવક અને શુદ્ધ ઉત્પાદન પણ મેળવ્યા
-
બન્ને ખેડૂત ભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ પણ બન્યા
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલવાડા ગામના 2 ખેડૂત ભાઈઓએ મલ્ટી લેયર પ્રાકૃતિક ખેતી કરી હતી. પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે ઉચી આવક અને શુદ્ધ ઉત્પાદનો થાય છે તેના ઉત્તમ દાખલા સમાન બન્ને ખેડૂતોએ માતબર આવક પણ મેળવી છે.
પ્રકૃતિના સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના 2 ખેડૂત ભાઈઓ શૈલેષ પટેલ અને વિજય પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે 28 વીઘા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના રૂ . 35 લાખની આવક મેળવીને સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ તેમજ લાભદાયી છે. શૈલેષ પટેલ અને વિજય પટેલે પાંચ વર્ષ પહેલાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે આ અંગે જણાવ્યું કે, વર્ષોથી રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેરડી ઉગાડતા હતા.
રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે, તેવી કલ્પના પણ કરી ન હતી. વર્ષ 2017 સુધી ખેતીમાં સામાન્ય નફો અને ટૂંકી આવક મેળવતા હતા. આવી ખેતીને ખોટનો સોદો કહેવાય પણ આ ખેતી સિવાય અમારી પાસે રોજગારનો બીજો વિકલ્પ ન હતો. પરંતુ કહેવાય છે કે, સારા લોકોનો સંગાથ અથવા યોગ્ય જ્ઞાન વ્યક્તિની વિચારસરણી મોટું પરિવર્તન લાવી શકે છે. અમારી સાથે પણ આવું જ બન્યું, જેમાં પલસાણા તાલુકાના અંભેટી ગામના ખેડૂત મિત્ર કમલેશ પટેલ પ્રાકૃતિક ખેતીની શિબિરમાં મળ્યા તેમણે યોગ્ય માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવા કહ્યું. તેમનાથી પ્રેરાઈ 1 વીઘામાં પ્રયોગાત્મક આ ખેતી શરૂ કરી. આ પ્રયોગ સફળ થતા 28 વીઘા જમીનમાં આ ટેકનિક અપનાવી પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા હતા. બંન્ને ખેડૂત ભાઈઓએ મલ્ટીલેયર ખેતીમાં શેરડી, સરગવો, ફૂલેવર, ભીંડા, તુરીયા, ગલગોટાં, રીંગણ વગેરે પાકનો સમાવેશ કર્યો છે.
દેલવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત વિજય પટેલના જણાવ્યા મુજબ, મલ્ટી લેયર ખેતીમાં જમીન ખેડવાની જરૂર પડતી નથી અને અલગ-અલગ પાક સાથે અનાજ, કઠોળ, શાકભાજી તથા ફળોની ખેતી કરવામાં આવે છે. રાસાયણિક ખેતીમાં એક એકર જમીનમાં જ્યાં રૂ. 28 હજારનો ખર્ચ થતો હતો, ત્યાં પ્રાકૃતિક ખેતીમાં માત્ર રૂ. 2 હજારનો જ ખર્ચ થાય છે. આ ખેતીના ફાયદાઓમાં ઓછો ખર્ચ, ઊંચી આવક, શુદ્ધ ઉત્પાદનો, પર્યાવરણની સંભાળ અને જમીનની ફળદ્રુપતાનું જતન થાય છે.
આ ખેતીમાં મહેનત વધુ છે, પરંતુ આ મોડલ જમીન માટે લાભદાયી છે. જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે, અને લાંબા ગાળે જમીન બંજર થતી નથી. પાકમાં રાસાયણિક અશુદ્ધતાઓના અભાવને કારણે સ્વાસ્થ્યને રક્ષણ મળે છે. વધુમાં તેઓએ સરકારી સહાય વિશે જણાવ્યુ હતું કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી પ્રોત્સાહન મેળવી બંન્ને ખેડૂતભાઈઓએ ખેતી સાધનોમાં સુધારાઓ કર્યા છે. સરકાર દ્વારા મિની ટ્રેક્ટર માટે રૂ. 60 હજાર અને મોટા ટ્રેક્ટર માટે રૂ. 1.60 લાખ સબસિડી પાપ્ત થઈ છે. આ સાથે જ સરકારના સહકારથી ખેતીને વધુ આધુનિક બનાવી શક્યા છીએ.