Connect Gujarat
સુરત 

સુરત : નોકરીમાંથી તગેડી મુકતાં કારખાનાના 3 માલિકોની 2 કારીગરોએ કરી હત્યા, ઘટના થઈ CCTVમાં કેદ...

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં નોકરીમાંથી કાઢી મુકતાં કારખાના માલિક સહિત 3 લોકોની હત્યા કરી 2 કારીગરો ફરાર થઈ ગયા હતા,

X

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં નોકરીમાંથી કાઢી મુકતાં કારખાના માલિક સહિત 3 લોકોની હત્યા કરી 2 કારીગરો ફરાર થઈ ગયા હતા, ત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે બન્ને હત્યારાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીયલમાં વેદાંત ટેક્સો નામનું કારખાનું આવેલું છે, જ્યાં કારખાનાના માલિક ઉપર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં કારખાના માલિક સહિત 3 લોકોના મોત થયા છે. જોકે, હત્યાની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે DCP હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ગઈકાલે કામગીરી દરમ્યાન નાઈટ શિફ્ટમાં એક કારીગર સૂઈ જતાં કારખાના માલિકે તેને રૂપિયા આપી નોકરીમાંથી કાઢી મુક્યો હતો. જેની રીસ રાખી આજે કારખાના પર આવી કારીગરે છુટ્ટા હાથની મારમારી સાથે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં કલ્પેશ ધોળકીયા, ધનજી ધોળકીયા અને ઘનશ્યામ રઝોડિયાનું મોત થયું હતું. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનોએ હત્યારાને ઝડપી લેવા માગ કરી હતી. એટલું જ નહીં, જ્યાં સુધી હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પણ ચીમકી આપી હતી. જે બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં બન્ને હત્યારાની ધરપકડ કરી લીધી છે, ત્યારે હાલ તો પોલીસે હત્યારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story