સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કને દિવાળી ફળી
દિવાળી વેકેશનમાં નેચર પાર્કમાં મુલાકાતીઓનો ધસારો
7 દિવસમાં 80 હજારથી વધુ મુલાકાતીઓની મુલાકાત
સરથાણા નેચર પાર્કને 22,95,300 રૂપિયાની આવક થઈ
મુલાકાતીઓ માટે વધુ 4 ટીકીટ બારી શરૂ કરવામાં આવી
સુરત શહેરના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કમાં દિવાળી વેકેશન દરમ્યાન છેલ્લા 7 દિવસમાં 80 હજારથી વધુ મુલાકાતીઓ આવતા રૂ. 22.95 લાખની આવક થવા પામી છે.
દિવાળી વેકેશનને લઈ સુરતમાં તમામ એકમોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકો મોટી સંખ્યામાં હરવા-ફરવા માટે જતા હોય છે, ત્યારે સુરત શહેરના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કમાં મુલાકાતીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તા. 16થી 23 ઓક્ટોબર-2025 સુધીમાં સરથાણા પ્રાણી સંગ્રહાલયની 80 હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે. છેલ્લા 7 દિવસના સમયમાં 81,119 મુલાકાતીઓની મુલાકાતથી નેચર પાર્કને 22,95,300 રૂપિયાની આવક થઈ છે.
એટલું જ નહીં, તા. 1 એપ્રિલ-2025’થી અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ નેચરપાર્કની મુલાકાત લીધી છે. જેનાથી સુરત મહાનગરપાલિકાને રૂ. 1 કરોડ 40 લાખથી વધુની આવક થઈ છે. તો બીજી તરફ, મુલાકાતીઓની ભીડને પહોંચી વળવા વધુ 4 ટીકીટ બારી શરૂ કરી કુલ 8 ટીકીટ બારી શરૂ કરવામાં આવી છે, જ્યાં સુરત શહેર સહિત આસપાસના ગામો અને જિલ્લાઓના પ્રવાસીઓ ઉત્સાહભેર પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યા છે.