સુરત: પ્રદેશ કારોબારી બાદ ભાજપના આગેવાનોનું મીડિયાને સંબોધન, પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું આપ પાર્ટીની અમે નોંધ લઈએ છે પણ એટલી ગંભીર બાબત નથી
ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સુરતમાં યોજાઈ રહી છે જેમાં વિવિધ સેશન અનુસાર આગેવાનો સંબોધન કરી રહ્યા છે.
સુરતમાં આયોજિત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક દરમ્યાન ભાજપના આગેવાનોએ મીડિયાને સંબોધન કર્યું હતું
ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સુરતમાં યોજાઈ રહી છે જેમાં વિવિધ સેશન અનુસાર આગેવાનો સંબોધન કરી રહ્યા છે. પ્રથમ સેશનમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કર્યું હતું જે અંગે માહિતી આપતા પ્રદેશ ભાજપના સહ પ્રવકતા ડો.ઋત્વિજ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે કારોબારીની શરૂઆતમાં જાપાનના પૂર્વ પી.એમ.નું નિધન થતા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 2 વર્ષમાં 400થી વધુ કાર્યક્રમોમાં હાજરી આપી છે તો 23 લાખ નવા સભ્યો બનાવવના આયોજન સામે આજ સુધી 8 લાખ નવા કાર્યકરો બની ગયા છે તો સાથે જ વન ડે વન ડિસ્ટ્રીકટ પ્રોગ્રામનો પણ વ્યાપ વધારવામાં આવશે
આ તરફ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે વિરોધીઓ અપ્રચાર અને જુઠાણા ફેલાવે છે પરંતુ જનતાએ તેઓને ક્યારેય ફાવવા દીધા નથી.
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પણ સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષોથી આપ જેવી પાર્ટી પગ પેસારો કરવાની કોશીશ કરે છે પરંતુ જનતા નકારી કાઢે છે.આમ આદમી પાર્ટી રાજકીય પક્ષ હોવાના કારણે ભાજપ તેના પર નજર ચોક્કસ રાખે છે પરંતુ તેની કારોબારી બેઠકમાં ચર્ચા થાય એવી ગંભીર બાબત પણ નથી