-
સાડીના ખાતામાં બાળ મજૂરીનું કૃત્ય
-
પોલીસે રેડ કરીને છ બાળકોને કરાવ્યા મુક્ત
-
રાજસ્થાનથી બાળકોને લાવીને મજૂરી કરાવતા હતા
-
12 કલાકની રૂ.200માં મજૂરી ચૂકવવામાં આવતી
-
બે કારખાનાના માલિકો ફરાર
સુરતના પુણા વિસ્તારમાં પોલીસે બાળ મજુરીનો પર્દાફાશ કર્યો છે.સાડીના ખાતામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી,પોલીસે છ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા.માત્ર રૂપિયા 200માં બાળકો પાસે 12 કલાક મજૂરી કરાવવામાં આવતી હતી.
સુરતના પુણા વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા બે સાડીના ખાતામાંથી છ બાળમજૂરો મળી આવ્યા હતા. હાલ તો પોલીસે આ છ બાળ મજૂરોને મુક્ત કરાવીને કતારગામ બાળ આશ્રમમાં મોકલી આપ્યા છે. જ્યારે આ બે સાડીના કારખાનાના માલિક સામે ગુનો નોંધીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં થોડા દિવસ પહેલા બે બાળમજૂરો કાળી મજૂરીથી કંટાળીને ભાગીને પોલીસ સ્ટેશન પહોંચતા રાજસ્થાનથી બાળકોને સુરત લાવીને કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યારે એક કારખાનામાંથી પાંચ બાળ મજૂરોને મુક્ત કરાવી તેમને તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા. જોકે આ રીતે વધુ બાળકોને સુરત લાવીને કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાની શંકાના આધારે પુણા પોલીસની સી ટીમ દ્વારા પુણા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પુણાગામ સીતારામ સોસાયટીમાં બાળમજૂરીની પ્રવૃત્તિ ચાલે છે કે નહીં? તે બાબતે પુણા પોલીસ અને સી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમી મળી હતી કે, સીતારામ સોસાયટીમાં આવેલા બે ઘરમાં બાળમજૂરોને લાવીને સાડીના ખાતામાં મજૂરી કરાવવામાં આવી રહી છે. જેથી પોલીસ દ્વારા આ બંને ઘરમાં તપાસ કરવામાં આવી હતી. આ બંને સાડીના ખાતામાં પોલીસને છ બાળમજૂરો મળી આવ્યા હતા.
દિલીપસિંગ વરદીસિંગ રાજપૂત અને સુરેસિંગ નાથુસિંગ ખરવડ રાજસ્થાનથી બાળકોને લાવીને સાડીના ખાતામાં મજૂરી કરાવતા હતા.હાલ પોલીસે બંનેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.