ડ્રોનની મદદથી મચ્છરના ઉપદ્રવનો નાશ કરવામાં આવ્યો
સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મચ્છરોના ઉપદ્રવથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સાથે જ ઉનાળાની શરૂઆતમાં પણ મચ્છરનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળ્યો છે. તેવામાં રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવને લઈ પાલિકામાં ફરિયાદ નોંધાય હતી.
જોકે, ફરિયાદ બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી હતી. જેમાં મચ્છરના ઉપદ્રવને હવે ડ્રોનની મદદથી નાશ કરવામાં આવી રહ્યો છે. મનપાના કર્મચારીઓ પહોંચી ન શકે તેવી જગ્યાએ સૌપ્રથમ વાર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ડ્રોન દ્વારા મચ્છરોના બ્રિડિંગ એરિયા શોધી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સુરતના મેયર દક્ષેશ માવાણીની હાજરીમાં ભેસાણ વિસ્તારમાં 2 જેટલા ડ્રોનથી દવાનો છંટકાવ કરાયો હતો. મચ્છરના ઉપદ્રવને નિયંત્રણ કરવા આગામી દિવસોમાં વધુ ડ્રોનનો ઉપયોગ કરી દવાનો છંટકાવ કરવામાં આવનાર છે.