-
પી.પી.સવાણી પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન
-
“પિયરીયું” શીર્ષક હેઠળ 111 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે
-
5247 દીકરીના કન્યાદાન કરનાર પાલક પિતાનું સેવાકાર્ય
-
એકમાત્ર પાલક પિતા તરીકે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ નોંધાશે
-
370 ફૂટ લાંબુ તોરણ પણ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નોંધાશે
સુરતમાં પી.પી.સવાણી પરિવાર દ્વારા “પિયરીયું” શીર્ષક હેઠળ 12માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે પી.પી.સવાણી પરિવાર દ્વારા વિસ્તૃત માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર પી.પી.સવાણી ગ્રુપ દ્વારા આ વર્ષે 12માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. “પિયરીયું” શીર્ષક હેઠળ આ સમૂહ લગ્નમાં 111 દીકરીઓના લગ્ન થશે. પી.પી.સવાણી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 5,274 દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં આ સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવે છે.
જેમાં એવી દીકરીઓ હોય છે કે, જેમના પિતા નથી અને ભાઈ પણ ન હોય અથવા તો જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય તેવી દીકરીઓના લગ્ન પી.પી.સવાણી પરિવાર દ્વારા ધામધૂમથી કરાવવામાં આવે છે. આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, આ વખતે સમૂહ લગ્નના માધ્યમથી વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં લગ્નમાં આવનાર મહાનુભાવોને રૂ. 50 હજારના તુલસીના રોપા ભેટમાં આપવામાં આવશે.
જેનાથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવશે. આ સાથે આ રોપા પર અંગદાન જાગૃતિના ટેગ આપવામાં આવશે, જેથી કરી લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતતા આવે. આ ઉપરાંત લગ્ન બાદ પી.પી.સવાણી પરિવાર દીકરીઓના આરોગ્ય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ જવાબદારી નિભાવે છે. આ 12માં લગ્ન સમારોહમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓના લગ્ન કરાવવામાં આવનાર છે.
જેમાં 2 દીકરીઓ મુકબધીર અને 2 દિવ્યાંગ કન્યા છે. આ સાથે 2 મુસ્લિમ દીકરીઓ પણ છે, જેમને તેમના રીત રિવાજ પ્રમાણે લગ્ન કરાવવામાં આવશે. આ સાથે વિવિધ 39 જ્ઞાતિની દીકરીઓ નવજીવનના ફેરા ફરશે.
જોકે, સમૂહ લગ્ન પ્રસંગ દરમિયાન દીકરી અને જમાઈનું પૂજન સાસુ દ્વારા કરવામાં આવશે. આ આરતી અનોખી અને સંભવત પ્રથમ વખત થશે, જ્યાં વહુ અને જમાઈની આરતી તેની સાસુ કરતા હશે. જેથી કરી બન્ને પરિવારના લોકો એકબીજાને સમજે અને એકબીજાનો આદર કરે. આ લગ્ન સમારોહમાં મદદ કરનાર તમામ લોકોનું સન્માન કરવામાં આવશે. આ વખતે યોજાનાર લગ્ન પ્રસંગને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે. એક જ પિતા એટલે કે, મહેશ સવાણી દ્વારા 5,274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે.
આ સાથે પર્યાવરણ સંદેશ તરીકે 50 હજાર તુલસીના છોડ આપી એક નવો રેકોર્ડ સ્થાપશે. તો આ લગ્ન સમારોહમાં 370 ફૂટ લાંબુ તોરણ પણ બનવાનું છે, જેની પણ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નોંધણી થશે. આ સમૂહ લગ્નમાં દીકરીઓને આશીર્વાદ આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, કથાકાર મોરારીબાપુ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અધિકારીઓ સાધુ-સંતો અને જાણીતા વક્તા અને ગાયિકાઓ ઉપસ્થિત રહી નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવશે.