Connect Gujarat
સુરત 

સુરત : વ્યાજખોર-સોનીના ત્રાસથી રત્ન કલાકારે કર્યો આપઘાત, જુઓ સુસાઇડ નોટમાં શું લખ્યું..!

વ્યાજખોર અને સોનીના ત્રાસથી એક રત્ન કલાકારે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. રત્નકલાકારે આપઘાત કરતા પોલીસ એક્શનમાં આવી છે

X

સુરતમાં વ્યાજખોર અને સોનીના ત્રાસથી એક રત્ન કલાકારે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. રત્નકલાકારે આપઘાત કરતા પોલીસ એક્શનમાં આવી છે, અને પોલીસે તાત્કાલિક અસરથી આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ હરિ દર્શનમાં રહેતા રત્ન કલાકાર કમલેશ રાદડિયાએ પોતાના ઘરે આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, અને કમલેશ રાદડિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં કમલેશ રાદડિયાએ લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કમલેશ રાદડિયાએ લખ્યું હતું કે, જુનાગઢમાં રહેતા હિરેન નામના વ્યક્તિ પાસેથી કમલેશ રાદડિયાને પૈસા લેવાના હતા. હિરેને વધારે પૈસા કમાવી આપવાની લાલચ આપી હતી, તેથી મૃતક કમલેશ રાદડિયાએ પોતાના સગા વાહલાઓ પાસેથી રૂપિયા 1 કરોડ જેટલી રકમ લઈને હિરેનને આપી હતી. ત્યારબાદ જૂનાગઢનો હિરેન નામનો ઇસમ કમલેશ રાદડિયાને પૈસા તેમજ કમાણી પણ આપતો ન હતો. હિરેન નામના ઇસમે મૃતક કમલેશ રાદડિયાને સુરતમાં રહેતા ચીમન સોની નામના વ્યક્તિ પાસેથી સોનુ લેવા જણાવી તેના પૈસા પોતે ચૂકવી દેશે તેવું જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ હિરેને પણ આ સોનીને પૈસા ચૂકવ્યા ન હતા, અને મૃતક કમલેશ રાદડિયા પાસેથી થોડું સોનુ લઈ ગયો હતો. તો સોનીને પૈસા ન મળવાના કારણે તે મૃતક કમલેશ રાદડિયાને પૈસા માટે દબાણ કરતો હતો. કમલેશ રાદડિયાએ લખેલી સુસાઇડ નોટમાં એવી પણ માહિતી સામે આવી છે કે, તેમને પોતાના દીકરાને વિદેશ ભણવા જવા માટે પોતાના 2 મિત્રોના સંબંધી લોકો પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા હતા, ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Next Story