ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 1 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ તા. 15 જાન્યુઆરીના રોજ ગુજરાત આવશે, તેમાં રાજભવન ખાતે પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમમાં ભાગ લેશે. દર વર્ષે અમિત શાહ ઉતરાયણ મનાવે છે, પણ કુટુંબમાં એક મરણ થયું હોવાથી તેઓ તહેવાર મનાવશે નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે પ્રવાસની મળતી પ્રાથમિક માહિતી મુજબ, 15 તારીખે તેઓ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વન ટુ વન બેઠક કરશે. તેમજ ગુજરાતમાં આવનારી ચૂંટણીને લઇ અગ્રણી નેતાઓ સાથે વાતચીત કરે તેવી પણ સંભાવના છે. ગુજરાતમાં કોરોના કેસ પૂર ઝડપે વણસી રહ્યા છે, અને કુટુંબમાં એક મરણ પણ થયું હોવાથી તેને ધ્યાને લઈ આ વર્ષે ગૃહમંત્રી અમિત શાહ ઉતરાયણ નહીં મનાવે. મહત્વનું છે કે, અમિત શાહ પરિવાર સાથે ગુજરાતના કોઈપણ મોટા તહેવારમાં ખુદ હાજરી આપી તેને ઉજવતા હોય છે. આ પહેલા તે નવરાત્રિમાં પોતના વતન જઈ માતાજી સમક્ષ માથું ટેકાવ્યું હતું. જે પછી અમદાવાદના સોલામાં ભવ્ય ઉમિયા ધામના શિલાન્યાસ કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.
