/connect-gujarat/media/post_banners/1e72638f1bfd6c6458b28b55a0bd3b3feefdd60eae80c78f7d22c931ffe1eca7.jpg)
આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વડોદરાના એક રામભક્ત દ્વારા 3500 કિલો પંચગવ્યમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે, ત્યારે આ અગરબત્તીને વિશાળ રથમાં પ્રસ્થાન કરાવી અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં પ્રજ્જ્વલિત કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામલલ્લાના અભિષેક સમારોહમાં 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી અગરબત્તી પ્રગટાવવામાં આવશે. વડોદરાના રામભક્ત અને અગરબત્તી બનાવનાર વિહા ભરવાડ દાવો કરે છે કે, સમગ્ર અયોધ્યા 108 ફૂટ લાંબી અગરબત્તીની સુગંધ અનુભવશે. તા. 31 ડિસેમ્બરે આ અગરબત્તી 110 ફૂટ લાંબા વિશાળ રથમાં મુકીને વડોદરાથી અયોધ્યા ખાતે મોકલવામાં આવનાર છે. જેમાં ભવ્ય કાર્યક્રમ યોજી રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે, અને અંદાજે 20 દિવસમાં તે અયોધ્યા ખાતે પહોંચશે. આ અગરબત્તીની કિંમત રૂ. 5 લાખથી વધુ થવા જઈ રહી છે, જેને તૈયાર કરવામાં 5 મહિના જેટલો સમય લાગ્યો છે. આ અગરબત્તી અંગે વિહા ભરવાડે જણાવ્યું હતું કે, એક વખત તે પ્રગટાવવામાં આવ્યા પછી તે દોઢ મહિના સુધી સતત પ્રગટતી રહે છે, ત્યારે આસપાસના 50 કિલોમીટરના વિસ્તારમાં નકારાત્મકતા દૂર થશે.