વડોદરા : ધાબા પર જ ઇજનેર યુવાને બનાવ્યું ખેતર, એક્વાપોનિક્સથી ખેતી કરી ચીંધ્યો નવો રાહ...

વડોદરા શહેરના ઇજનેર યુવાન શશાંક ચૌબેએ પરંપરાગત કૃષિ પદ્ધતિના વિકલ્પ તરીકે એક્વાપોનિક્સથી પોતાના ઘરે ઇમારતની છત પર જ ખેતર બનાવ્યું છે.

New Update
વડોદરા : ધાબા પર જ ઇજનેર યુવાને બનાવ્યું ખેતર, એક્વાપોનિક્સથી ખેતી કરી ચીંધ્યો નવો રાહ...

વડોદરા શહેરના એક ઇજનેર યુવાને એક્વાપોનિક્સ ખેતી પદ્ધતિ થકી ઇમારતની છત ઉપર જ ખેતર બનાવી દીધું છે. માટી વિના થતી વિશેષ પ્રકારની કૃષિ પદ્ધતિ વિકસાવી માછલી દ્વારા ઉત્સર્જિત કચરાનો ઉપયોગ કરી નાનકડી વાડીમાં શાકભાજીનું ઉત્પાદન લેવાનું શરૂ કર્યું છે.

Advertisment W3.CSS

વડોદરા શહેરના ઇજનેર યુવાન શશાંક ચૌબેએ પરંપરાગત કૃષિ પદ્ધતિના વિકલ્પ તરીકે એક્વાપોનિક્સથી પોતાના ઘરે ઇમારતની છત પર જ ખેતર બનાવ્યું છે. જંતુનાશકોના ઉપયોગ વિના થતી આ ખેતીમાં ઉત્પાદિત શાકભાજી અતિ સ્વાદિષ્ટ હોય છે. ઇજનેર યુવાને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકલનથી આ ખેતી કરી બતાવી છે. એક્વાપોનિક્સમાં માછલી અને અન્ય જળચર જીવો દ્વારા ઉત્સર્જિત વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, અને હાઇડ્રોપોનિક્સમાં પાણીમાં રહેલા વિવિધ ખનિજતત્વોથી છોડને પોષણ આપવામાં આવે છે. પશ્ચિમી દેશોના શહેરી ખેતી તરીકે આ પદ્ધતિ ચલણમાં આવતી જાય છે. આ પ્રકારની ખેતીમાં છતની 700 ચોરસ મિટર જગ્યા રોકાય છે. આ પદ્ધતિમાં એવું કરવામાં આવે છે કે, પથ્થર, કપચી, ચિનાઇ માટીના કટકાને છોડના મૂળ બંધારણ માટે રાખવામાં આવે છે. આ પથ્થર નદીના કિનારે હોય એવી ઇકોસિસ્ટમ ડેવલપ થાય છે. એક છોડને કુદરતી રીતે ઉછેરવા માટે નદી કિનારે જે પ્રાકૃતિક બંધારણ હોય એવું વાતાવરણ નાના નાના કુંડામાં ઉભું કરવામાં આવે છે. ફિશ ટેંકમાંથી એકત્ર કરવામાં આવેલો માછલી ઉત્સર્જિત વેસ્ટ અને પાણીને પાઇપ મારફત આ કુંડાને આપવામાં આવે છે. કુંડામાં રહેલા છોડ, પાણી અને વેસ્ટમાંથી ખનિજ તત્વો ગ્રહણ કરી લે છે. આ પાણી ફિલ્ટર થઇ ફરી ટેંકમાં આવી જાય છે. છોડના કુંડા એક લાઇનમાં ઉપર નીચે આવી જાય એ રીતે તેમણે આખું માળખું બનાવ્યું છે. શશાંક ચૌબેએ કોઇ અને ગોલ્ડન ફિશની એક્વોપોનિક્સ માટે પસંદગી કરી છે. મત્સ્ય પાલન કેવી રીતે કરવું તેના માટે તેમણે રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગ પાસેથી માહિતી મેળવી છે. ઇમારતની છત ઉપર એક લાઇનમાં ૩૦ કુંડા ધરાવતી 18 લાઇનોમાં ખેતી શરૂ કરી છે. જેમાં કાકડી, દૂધી, ટામેટા, આયુર્વેદિક દવાના છોડ ઉપરાંત પાનવાળા શાકભાજીનો ઉછેર શરૂ કર્યો છે. વળી, આ પદ્ધતિ સંપૂર્ણપણે ઓર્ગેનિક હોવાથી તેમાં જંતુનાશકોનો ઉપયોગ કરવો પડતો નથી. તેનાથી ઉત્પાદિત શાકભાજી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. વધુમાં શશાંક ચૌબેનું કહેવું છે કે, દિલ્લીમાં યમુના કિનારે બિનઆરોગ્યપ્રદ રીતે થતી શાકભાજીની ખેતીને જોઇને મને એક્વાપોનિક્સનો વિચાર આવ્યો હતો. હજું અન્ય લોકોને પણ આ પ્રકારની ખેતી તરફ વાળવા ઇચ્છું છું.

Latest Stories