વડોદરા : મકરપુરાની કેન્ટોન લેબમાં બોઇલર ફાટયું, માતા-પુત્રી સહિત 4 લોકોના મોત
કેન્ટોન લેબોરેટરીઝમાં પ્રચંડ ધડાકા સાથે બોઇલર ફાટવાથી માતા-પુત્રી સહિત 4 લોકોના મૃત્યું થયાં છે જયારે 14 થી વધારે ઇજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે.
વડોદરાના મકરપુરા જીઆઇડીસીમાં આવેલી કેન્ટોન લેબોરેટરીઝમાં પ્રચંડ ધડાકા સાથે બોઇલર ફાટવાથી માતા-પુત્રી સહિત 4 લોકોના મૃત્યું થયાં છે જયારે 14 થી વધારે ઇજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે.
વડોદરામાં મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં શુક્રવારે સવારે બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. જેમાં માતા-પુત્રની સહિત 4ના મોત થયા છે. જ્યારે બાળકો સહિત 14 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતાં. કંપનીમાં થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા અને કંપનીની બાજુમાં આવેલા ઘરની દીવાલો પણ તૂટી ગઇ હતી. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. એમ્બ્યુલન્સ આવે તે પહેલાં દર્દથી કણસતા ઇજાગ્રસ્તો રોડ પર જ બેસી ગયાં હતાં.બોઇલર નીચે અન્ય કામદારો દબાયેલાની શક્યતા હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા ક્રેનથી કાટમાળ હટાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વડોદરા તથા આસપાસ આવેલી જીઆઇડીસીની કંપનીઓમાં બ્લાસ્ટની ઘટનાઓ વધી હોવાથી કામદારોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. થોડા દિવસો પહેલાં ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં 16 ડિસેમ્બરના રોજ સવારે પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 20 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. ઘોઘંબાની કંપનીની બ્લાસ્ટના ગણતરીના દિવસોમાં જ વધુ એક ઘટનાએ લોકોને હચમચાવી દીધાં છે.