Connect Gujarat
વડોદરા 

વડોદરા : સાંસદ મનસુખ વસાવા હવે નારેશ્વરમાં ધરણાં પર નહીં બેસે, રેતી માફિયાઓ સામે ઉચ્ચારી હતી ચીમકી

નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગ, આરટીઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે.

X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગ, આરટીઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે.કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સવારથી જ તવાઈ બોલાવાય હતી. જેમાં અનેક રેતી વહન કરતા વાહનો ડીટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કરજણ પ્રાંત અધિકારી પણ નારેશ્વર ખાતે દોડી આવ્યા હતા, અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ પાલેજ-નારેશ્વર માર્ગ પર અકસ્માતો સર્જાયા હતા. સર્જાયેલા અકસ્માતમાં કોઈકનો લાડકવાયો મોતના મુખમાં હોમાય ગયો હતો, તો કોઈક સુહાગનના સેંથીનું સિંદૂર ભૂસાયું હતું. જોકે, પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનના ચાલકો માતેલા સાંઢની જેમ દોડતા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી છે. ભૂતકાળમાં માલોદ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ અધિકારીઓનો જાહેરમાં ઉઘડો લીધો હતો. એટલું જ નહીં, અહીના માર્ગ પર સર્જાયેલા 2 અકસ્માતમાં 2 હતભાગી કાળનો કોળિયો બની ગયા હતા, ત્યારે રોષે ભરાયેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ સાથે ધરણાં અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, અકસ્માતોના દોર બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગ, આરટીઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા અનેક વાહનોને ડીટેન કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાતા સાંસદ મનસુખ વસાવાએ ઉચ્ચારેલી ચીમકી પરત ખેંચી લીધી હતી. વધુમાં, તંત્ર દ્વારા એક-બે દિવસ નહીં, પરંતુ આ કાર્યવાહી સતત થવી જોઈએ, જેનાથી જીવલેણ અકસ્માતોને નિવારી શકાય તેમ છે, તેવું પણ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું.

Next Story