Connect Gujarat
વડોદરા 

વડોદરા: સંત હરિપ્રસાદ અનંતની વાટે, તારીખ 1 ઓગસ્ટે કરાશે અંતિમ સંસ્કાર

સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાશે.

X

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજીનું નિધન થયું છે ત્યારે તેઓના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે રાખવામા આવશે અને તારીખ 1લી ઓગસ્ટે તેઓને અંતિમ સંસ્કાર આપવામાં આવશે.

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. સંત હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે અને 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી.

જોકે મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવનલીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ-વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યા હતા.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા.23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઊજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા ત્યારે તેઓના નિધનના સમાચાર મળતા જ મોટી સંખ્યા ભક્તો અંતિમ દર્શન માટે ઉમટ્યા હતા.

Next Story