વડોદરા : હરણી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકો-શિક્ષકોની અંતિમ યાત્રા નીકળી, ભારે હૈયે પરિજનોએ અંતિમવિધિ કરી..
હરણી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 12 બાળકો અને 2 શિક્ષકોના પાર્થિવદેહોની પરિવારજનો દ્વારા ભારે હૈયે અંતિમવિધિ કરવામાં આવી હતી.
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 12 બાળકો અને 2 શિક્ષકોના પાર્થિવદેહોની પરિવારજનો દ્વારા ભારે હૈયે અંતિમવિધિ કરવામાં આવી હતી.
વડોદરા શહેરના હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો ફરવા માટે પહોંચ્યા હતા, જ્યાં ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે. બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોના મૃત્તદેહોની પરિવારજનો દ્વારા ભારે હૈયે અંતિમવિધિ કરવામાં આવી હતી. 8 વર્ષીય નેન્સી માછી અને 45 વર્ષીય શિક્ષિકા ફાલ્ગુની પટેલની અંતિમયાત્રા નીકળી હતી. બંને મૃતદેહના અંતિમસંસ્કાર ખાસવાડી સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. કિશનવાડી વિસ્તારમાં રહેતા કલ્પેશ નિઝામાએ તેમના પુત્ર વિશ્વાને આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે, ત્યારે કિશનવાડી વિસ્તારમાં વિશ્વા નિઝામા અને નેન્સી માછી બંને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. વિશ્વના પિતાએ રડતી આંખે રોષ ઠાલવતા કહ્યું કે, મારી માંગણી છે કે, આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ હરણી તળાવની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલ મુસ્લિમ પરિવારના બાળકોના જનાજા વડોદરાની મેમણ કોલોની ખાતેથી કાઢવામાં આવ્યા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો દફનવિધિમાં જોડાયા હતા.