વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા ઘોડાપુરે ભારે તારાજી સર્જી હતી.ત્યારે પૂરગ્રસ્તો માટે રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી હતી. વડોદરા શહેરમાં આવેલા વિશ્વામિત્રી નદીના પૂરના કારણે રહીશોને ઘરવખરીથી માંડીને વેપાર-વાણિજ્યમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં 5,000થી માંડીને 85,000 હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં લારી ધારકોથી માંડીને માસિક 5 લાખથી વધુનું ટર્નઓવર કરતા વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડોદરાના પૂર અસરગ્રસ્તોના પુન: વસવાટ અને ધંધા રોજગારને પુનઃ કાર્યાન્વિત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારી ધારકને 5,000 સુધીની રોકડ સહાય જ્યારે પાકી દુકાન ધરાવતા લોકોને ઉચ્ચક રૂ.85,000 રોકડ સહાય જાહેર કરી છે.
જાણવા મળ્યા મુજબ લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂપિયા 5,000, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા 20,000 ની રોકડ સહાય,40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા 40,000 ની રોકડ સહાય, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકોને ઉચ્ચક રૂપિયા 85,000 રોકડ સહાય અને માસિક ટર્નઓવર રૂપિયા 5 લાખથી વધુ હોય તેવા મોટા દુકાનધારકોને રૂપિયા 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે રૂપિયા 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.