વડોદરા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 8 જીલ્લાના ભાજપના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી...

વડોદરા શહેર વર્ષોથી મધ્ય ગુજરાતના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે. અહીં મધ્ય ગુજરાતની રાજકીય બેઠકો થતી હોય છે.

New Update
વડોદરા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 8 જીલ્લાના ભાજપના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી...

દિવાળીના દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીલક્ષી બેઠકોનો દૌર શરૂ કરી દીધો છે, ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે વડોદરાના મહેમાન બન્યા હતા, જ્યાં તેઓએ ગુજરાત ભાજપના ચૂંટાયેલા તેમજ સંગઠનના નેતાઓ સાથે બેઠક યોજી આગામી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.

વડોદરા શહેર વર્ષોથી મધ્ય ગુજરાતના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે. અહીં મધ્ય ગુજરાતની રાજકીય બેઠકો થતી હોય છે. જોકે, હવે દિવાળી બાદ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ બેઠકોનો દૌર વધુ તેજ કરી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમો મધ્ય ગુજરાતને કેન્દ્રમાં રાખીને આયોજિત થઈ રહ્યા છે, ત્યારે દેશના ગૃહમંત્રી અમીત શાહ વડોદરામાં 8 જીલ્લાઓના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.

આજે સવારે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો કાફલો વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો, જ્યાંથી તેઓ સયાજીગંજ સૂર્યા પેલેસ હોટલમાં પહોંચ્યા હતા. જ્યાં અગાઉથી જ 8 જીલ્લાના ધારાસભ્યો, સાંસદો અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ જીલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત હતા. સાથે સાથે સહકારી એકમોના સહકારી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ચાલનાર બેઠકોના દૌરમાં ધારાસભ્યો અને સાંસદોને સાંભળ્યા બાદ સંગઠનના હોદ્દેદારો અને ત્યારબાદ સહકારી અગ્રણીઓ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં નેતાઓને ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર માટેની રણનીતિ અંગેની માહિતી આપવા માટે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવી પહોંચ્યા હતા. આ સાથે જ સમગ્ર બેઠક મીડિયાની ઓહોચથી દૂર રાખવામાં આવી હતી.