વલસાડ : આજથી 10 દિવસ માટે તંત્રએ કરી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત, પણ લોકોમાં જોવા મળ્યો જાગૃતિનો અભાવ
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ દિવસે જ લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
કોરોના વાયરસના ઝડપથી ફેલાય રહેલાં સંક્રમણે વલસાડ જિલ્લાના હાલબેહાલ કરી નાખ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આગામી 10 દિવસ સુધી સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કલેક્ટર, ધારાસભ્યો તેમજ અગ્રણીઓ અને વેપારીઓ વચ્ચે બેઠક સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે કાપડ બજાર, સોના-ચાંદીની દુકાન, ફૂટવેર, કટલરી અને ઇલેક્ટ્રોનિક્સ સહિતના અનેક વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન આપ્યું હતું, ત્યારે વલસાડ શાકભાજી માર્કેટ, દાણા બજારની હોલસેલ તેમજ રિટેલ દુકાનો ખુલ્લી જોવા મળી હતી.
તો સાથે જ શાકભાજી માર્કેટ તેમજ અનાજ કરિયાણાના વેપારીઓ બપોર બાદ પોતાની દુકાનો બંધ કરશે તેવું વેપારી એસોસિએશન દ્વારા જણાવાયું છે. પરંતુ સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે જ લોકોનો મિશ્ર પ્રતિસાદ મળતા સંપૂર્ણ લોકડાઉન કહી ન શકાય તેવી સ્થિતિનું નિર્માણ વલસાડ શહેરમાં જોવા મળ્યું હતું, ત્યારે હવે લોકો જાગૃત બની સરકાર તેમજ સ્થાનિક વહીવટી તંત્રને સહયોગ આપે તે અત્યંત જરૂરી બન્યું છે.