એર ઈન્ડિયાની કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટમાં મંગળવારે કાઠમંડુ એરપોર્ટથી ટેક-ઓફ પહેલા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા સુબાસ ઝાએ જણાવ્યું હતું કે રનવે પરથી ટેકઓફ કરી રહેલા વિમાનના લેન્ડિંગ ગિયરમાં સમસ્યા હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ-216 કાઠમંડુ એરપોર્ટથી સવારે 4:10 વાગ્યે રવાના થવાની હતી.વ્હીલ લોકના કારણે વિમાન રનવે પર જ ફસાઈ ગયું હતું. બોર્ડમાં 179 મુસાફરો હતા, જેમને બાદમાં ઉતારવામાં આવ્યા હતા. ટ્રેક્ટરની મદદથી વિમાનને રનવે પરથી હટાવવામાં આવ્યું હતું.
વિમાનમાં ટેક્સી વેમાં ફસાયા બાદ બે આંતરરાષ્ટ્રીય અને પાંચ ઘરેલુ ઉડાનો આકાશમાં જ રોકવામાં આવી હતી. એરપોર્ટ પર એક કલાક સુધી અરાજકતા ફેલાઈ હતી. વિમાનને ટેક્સી વેથી પાર્કિંગ સ્થળ પર લઈ જવાયા બાદ ફરી એરપોર્ટનું નિયમિત સંચાલન શરૂ થયું હતું.