ઘરમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની અંબિકા નગરમાં એક મકાનમાં તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ દોઢ લાખ ઉપરાંતની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્તમાહિતી મુજબ અંકલેશ્વરના અંદાડાની અંબિકાનગર સોસાયટીમાં રહેતા જમીયત પટેલ રાત્રે મકાન બંધ કરી પરિવાર સાથે મકાના ધાબા ઉપર સુવા ગયા હતા.
દરમ્યાન તસ્કરોએ તેમના મકાન ને નિશાન બનાવી ઘરની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી, તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સવારે જમીયત પટેલે ઉઠીને જોતા ઘરમાં તિજોરી તૂટેલી અને સામાન વેરવિખેર જોઇ તપાસ કરતા તીજોરીમાંના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. જેથી ચોરી થઇ હોવાનું માલુમ પડતા તાત્કાલિક શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
જમીયત પટેલે રોકડ રકમ અને દાગીના મળી કુલ ૧ લાખ ૭૦ હજાર મત્તાની ચોરી અંગે શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે