/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/02-4.jpg)
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી ભરૂચ શહેરમાં આવેલી નારાયણ વિદ્યાવિહાર દ્વારા મતદાન જાગૃતિ કાર રેલી યોજી વધુ મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. આ કાર રેલીનું સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી નવનિતભાઇ મહેતાએ ફલેગ ઓફ આપીને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશભાઇ ઠાકર, ડીસ્ટ્રીક્ટ આઇકોન હસમુખભાઇ જંબુસરીયા, નારાયણ વિદ્યાવિહારના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદી પછીનાં ૧૯૫૨નાં પ્રથમ ચૂંટણીથી લઇ આજ સુધીના વર્ષોને ધ્યાનમાં લઇ મોટી સંખ્યામાં ચાર પૈડાના મોટા વાહનો તથા બે પૈડાના વાહનો સાથે વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સમાજના જાગૃત આગેવાનો વિવિધ બેનરો અને સ્લોગનો સાથે નારાયણ વિદ્યાવિહારથી કાર રેલી પ્રસ્થાન કરી સુરભી સોસાયટી, ધર્મનગર, કોલેજ રોડ, ભોલાવ ઓવર બ્રીજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ થઇ હોસ્ટેલ ગ્રાઉન્ડ વિસર્જીત થઇ હતી. આ કાર રેલીમાં વોટ એ જ મારો સંદેશ, આપણો વોટ આપની તાકાત, મતદાન મેરા અધિકાર, મતદાન માટેના પુરાવા અંગેના બેનરો સાથે ઉક્ત વિસ્તારમાં ફરી લોકશાહીના મહાપર્વમાં સૌ મતદારો જાડાઇને મતદાન કરીને લોકશાહીને ધબકતી રાખે તેવો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો.
આ રેલીના કાર્યક્રમ અગાઉ નારાયણ વિદ્યાવિહારના સભાખંડમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતાના મુખ્ય મહેમાનપદે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વીપ નોડલ અધિકારી મહેતાએ જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુને વધુ મતદાન કરે તે હેતુથી નારાયણ વિદ્યાવિહાર દ્વારા યોજેલ આ મેગા કાર રેલીને બિરદાવી હતી અને સૌને લોકશાહીના મહાપર્વમાં જાડાવા અનુરોધ ર્ક્યો હતો. તેમણે નારાયણ વિદ્યાવિહારનો એક વિદ્યાર્થી ઓછામાં ઓછા વીસ મતદારોને જાગૃત કરીને મતદાન કરવા પ્રેરિત કરે તેવો અનુરોધ પણ ર્ક્યો હતો. આ કાર્યક્રમમાં શાળા દ્વારા પ્રાર્થના તથા સ્વાગત પરિચય થયો હતો. તથા મતદાન અંગે સૌને સંકલ્પબધ્ધ પણ કરવામાં આવ્યા હતા.