Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરા ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠનની બેઠક યોજાઇ, પડતર માંગણીઓને લઈને કરાઇ ચર્ચા

પંચમહાલ : ગોધરા ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠનની બેઠક યોજાઇ, પડતર માંગણીઓને લઈને કરાઇ ચર્ચા
X

પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે વરીયા સમાજની વાડીમાં ગુજરાત માજી સૈનિક સંગઠનની બેઠક મળી હતી. જેમા પંચમહાલ, દાહોદ, મહિસાગર જીલ્લાના માજી સૈનિકો અને તેમજ શહીદ સૈનિકોની વિધવા પત્નીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની અધ્યક્ષતામાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પંચમહાલ, દાહોદ, મહિસાગર જીલ્લાના માજી સૈનિકો અને શહીદ થયેલા સૈનિકોના પરિવારજનો મોટી સંખ્યામા હાજર રહયા હતા. મીટીંગમાં તાલુકામાંથી આવેલ સંગઠનના હોદેદારો દ્વારા માજી સૈનિક અને સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

સમગ્ર મીટીંગ દરમ્યાન માજી સૈનિકોના ૧૪ મુદ્દાઓની વિવિધ માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પોતાની માંગણીઓ સરકારી સેવામાં માજી સૈનિકને પાંચ વર્ષ ફિકસ પગાર નાબુદ કરવામાં આવે, માજી સૈનિકોને અનામતનો લાભ આપવામા આવે, પુન: સરકારી નોકરી મળે ત્યારે પરીવારને સ્થાઈ રહેઠાણની જગ્યા આપવામાં આવે, શહિદ સૈનિક પરિવારના સભ્યને સરકારી નોકરી અને રાજય સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે, માજી સૈનિકોને જીવન નિર્વાહ ચલાવવા માટે સરકારી જમીન ખેતી કરવા માટે તેમજ રહેણાંક હેતુ પ્લોટ આપવામાં આવે, માજી સૈનિકોના સંતાનોના અભ્યાસનો ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે, વ્યવસાય વેરો માફ કરવામાં આવે, ગુજરાતના માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા કરવામાં આવે વગેરે માંગણીઓની ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા “હમારી માંગે, પુરી કરો”ના નારા લગાવવામાં આવ્યા હતા. આ તમામ માંગણીઓ નહી સંતોષવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

Next Story