![પ્રિમોન્સુન કામગીરીના ઓથા હેઠળ મુકાયેલ વીજકાપથી રહીશો ત્રાહિમામ](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-116.jpg)
ભરૂચ ડી.જી.વી.સી.એલ દ્વારા ભરૂચ શહેરના પાંચ જેટલા ફીડરો ઉપર પ્રિમોન્સુન કામગીરી કરવા સારૂં સવારથી સાંજ સુધી એમ આખો દિવસ વિજકાપ મુકી વિજ પુરવઠો બંધ કરી દેવાતા રહિશો આકરિ ગરમીમાં પરસેવે તરબોળ બની ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.
ભરૂચ સિટી વેસ્ટ સબ ડિવિઝન ૬૬ કે.વી પાંચબત્તી સબસ્ટેશનનું સમારકામ હોવાથી સવારના ૮ વાગ્યાથી સાંજે ૬ કલાક સુધીનો વિજકાપ જાહેર કરાતા શહેર વાસીઓએ ગરમીમાં દિવસ વિતાવવા નો વારો આવ્યો હતો.વિજ કંપની દ્વારા ભરૂચ શહેરના સ્ટેશન રોડ થી કોન્વેન્ટ સ્કૂલ, ધોળીકુઇ, ખત્રીવાડ, દાંડિયા બજાર, બહારની ઊંડાઈ, બળેલી ખો, હાજીખાના, લલ્લુભાઈ ચકલા, નવચોકી, જમીયતરામની ખડકી, જુના બજાર, નવાડેરા, લાલ બજાર, મલબારી દરવાજા, કોટ પારસીવાડ, ટાવર, કતોપોર દરવાજા, ફુરજા ચાર રસ્તા, વેજલપુર વાણીયાવાડ, નદી કિનારાની આસપાસનાં તમામ વિસ્તાર, સેવાશ્રમ રોડ, સિંઘવાઈ સોસાયટી, ગીતા પાર્ક, હિતેષ નગર, પુનિત સોસાયટી, કૃષ્ણનગર, ફલશ્રુતિ સોસાયટી, પૃથ્વી ટ્રેડ, સુપરમાર્કેટ, રતન નગર, સિંધુનગર, રેલવે કોલોની, નવી વસાહત, પાંચબત્તી, સોનેરી મહેલ, કેપિટલ માર્કેટ, નેશનલ ટ્રેડ સેન્ટર, ભીડભંજન ની ખાડી, વૈરાગી વાડ, ફાટા તળાવ, આલી, ડભોડીયા વાડ, વસંત મિલની ચાલ, ભઠીયાર વાડ, ધોબીતળાવ, તેમજ જુના શાક માર્કેટની આસપાસનો તમામ વિસ્તાર સવારે ૮ થી ૬ કલાક સુધી વીજ પુરવઠો બંધ રખાતા ભુલકાથી વૃધ્ધ સુધીના તમામ આકરિ ગરમીના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
એક તરફ આકરી ગરમી અને બીજી તરફ આખા દિવસનો વિજકાપ મુકાતા રહીશોને પારાવાર મુસ્કેલી વેઠવા સાથે ઘરની બહાર,બગીચા કે ઝાડ નીચે આશરો લેવાનો વારો આવ્યો હતો.વળી મોબાઇલ ટી.વી. પણ બંધ રહેતા કેટલીક સોસાયટી સહિત મહોલ્લાઓમાં લોકો ઘરની બહાર ખુરશી નાંખી હાથપંખાની હવા ખાતા જોવા મળ્યા હતા. આ અંગે રહિશોએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે પ્રિમોન્સુન કામગીરી ચોમાસાને આગળ રાખી જી.ઇ.બી. વિભાગ કરે છે પણ દર ચોમાસે લાઇટના ફટાકા થવા,કરંટ લાગવા અને વિજળી ડૂલ થવાનું સાથે ઘરના વિજ ઉપકરણો ફૂંકાવાનું તો ચાલુ જ રહે છે. વળી જો ખરેખર સમારકામ કરવું હોય તો દિવસના બે કલાક વિજકાપ મુકી કરવામાં કેમ નથી આવતું.જો એમ કરાય તો તમામને માત્ર બે કલાક જ પાવર વિના કાઢવી પડે જે ખરેખર ઇચ્છનીય છે.પણ આ આખા દિવસનો વિજકાપ યોગ્ય નથી.