Connect Gujarat
ગુજરાત

કરજણ: મિયાગામમાં પતિએ પત્નીની કુહાડીથી હત્યા બાદ પોતે ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કર્યો

કરજણ: મિયાગામમાં પતિએ પત્નીની કુહાડીથી હત્યા બાદ પોતે ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કર્યો
X

ઈજાગ્રસ્ત બંન્ને પુત્રોને વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયા.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયાગામના સુતરિયા ફળિયામાં રહેતા એક પરિવાર માટે શનિવારની રાત્રી કાળ બનીને ત્રાટકી હતી. પરિવારના મોભીએ જ પોતાની પત્નીને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી પોતાના વ્હાલસોયા બાળકોને પણ કુહાડીના ઘા ઝીંકી ઈજા પહોંચાડી અને પોતે પણ કરજણ રેલવે સ્ટેશનથી થોડે દૂર જઈ પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં સમગ્ર કરજણ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના મિયાગામના સુતરિયા ફળિયામાં રહેતા બળવંતસિંહ રાયમલસિંહ સિંધાએ તેઓની પત્નીને કોઈની સાથે આડો સંબંધ હોવાના વહેમે પતિ પત્ની વચ્ચે ઝઘડો થોડા થોડા દિવસે થયા કરતો હતો. ગત રાત્રિના સમયે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બળવંતસિંહે આવેશમાં આવી જઇ તેની પત્ની દક્ષાબેન ઉપર કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાના પગલે પત્ની દક્ષાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. બળવંતસિંહ એટલેથી ન અટકતા પોતાના વ્હાલસોયા પુત્ર અજય ઉ.વ. ૧૨ તથા ચેતન ઉ.વ. ‍૧૦ ને હાથના ભાગે કુહાડીના ઘા ઝીંકી દીધા હતાં. ઈજાગ્રસ્ત અજય તથા ચેતનને સારવાર અર્થે વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

પોતાની પત્નીની હત્યા કર્યા બાદ તથા બાળકોને પણ ઘાયલ કરનાર બળવંતસિંહને પોતે આવેશમાં આવી જઇ ખોટું કર્યાનું ભાન થતાં બળવંતસિંહે પણ કરજણ રેલવે સ્ટેશનથી થોડે દૂર જઈ ડાઉન લાઈન પરથી પસાર થઈ રહેલી ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. મિયાગામ ખાતે રહેતા એક જ પરિવારના પતિ પત્નીના કરુણ મોત તેમજ પરિવારના બાળકોને થયેલી ઇજાઓને પગલે નાનકડા એવા મિયાગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા હતી. સાથે સાથે સમગ્ર ગામમાં સ્મશાનવત શાંતિ પથરાઇ જવા પામી હતી. આમ એક હસતા રમતા પરિવાર પર જાણે કે કાળચક્ર ફરી વળ્યું હતું. મૃતક દક્ષાબેનના ભાઇ જયરાજસિંહ રમણભાઇ પરમારે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story