હવે શિવસેના વિપક્ષમાં,સંસદના શિયાળુ સત્ર પહેલા તમામ પક્ષોની યોજાઇ બેઠક
સંસદના શિયાળુ સત્રની શરૂઆત થતાં પહેલા જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ
પક્ષોની બેઠકનું નેતૃત્વ કર્યું હતું. સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઇને
13 ડિસેમ્બર સુધી ચાલશે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર ઘણાખરા
બિલ પાસ કરાવી શકે છે. જેમાં નાગરિકતા સુધારણા બિલ ખાસ મહત્વનો મુદ્દો હોવાનું
કહેવામાં આવી રહ્યું છે. આ બિલનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સંસદના ગત સત્રમાં નાગરિકતા સુધારણા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જે પડોસી દેશોમાં રહેતા નોન
મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇની ભલામણ કરે છે. વિપક્ષ દ્વારા
આ બિલને ધર્મના નામ પર ભેદભાવવાળુ બિલ ગણાવ્યું હતું. જો કે આ શિયાળુ સત્રમાં
શિવસેના પણ આ બિલનો વિરોધ કરી શકે છે. આ સિવાય સરકાર અસમમાં રાષ્ટ્રીય નાગરિકતા
રજિસ્ટરમાં સામેલ નહીં કરાયેલા હિન્દુઓને પણ યાદીમાં સામેલ કરવા માટે અલગથી બિલ
લાવી શકે છે. તેમજ મોદી સરકાર દિલ્હીમાં અનિયમિત કોલોનીઓને પાસ કરાવવાનું બિલ પણ
પાસ કરાવી શકે છે. જો કે સર્વદળીય બેઠકમાં વિપક્ષ દળોએ સત્રમાં બેરોજગારી, મંદી અને ખેતી સમસ્યાઓ તથા પ્રદૂષણ
જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ પણ કરી હતી.