1064 પર કોલ કરો અને બેંકોમાં થતી ગેરરીતિ અટકાવો : ACB

કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણય બાદ બેંકો દ્વારા ગેરરીતિ થતી હોવાનું જણાવવા માં આવતા ગુજરાતમાં ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા આ પ્રવૃત્તિને નાથવા માટે લોકોને ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફોન કરીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
ACB ના ડાયરેક્ટર કેશવકુમારે આ વિષય માં વિગતવાર માહિતી આપતા જણાવ્યુ હતુ કે એક તરફ 500 અને 1000 ની નોટ બંધ થતા તેને બદલવાનું કામ બેંકો કરી રહી છે તો બીજી તરફ ATM અને ખાતામાંથી નાણાં ઉપાડવા પર પણ મર્યાદા લાદવામાં આવી છે જેને પગલે કેટલાક તકવર્તી બેન્ક અધિકારીઓ દ્વારા સ્થિતિનો ગેરલાભ લઈને ગ્રાહકોના સ્થાને કાળા બજારિયાઓ અને ઓળખીતાઓને મોટા પ્રમાણમાં પૈસા આપી રહ્યા છે તેમજ જૂની ચલણી નોટો બદલી રહ્યા છે.જેના પરિણામે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેના અનુસંધાનમાં ACB દ્વારા ગુપ્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેની જાણ બેન્કના અધિકારીઓને થઇ જતા તેઓ સતર્ક થઇ ગયા હતા અને ગેરરીતિનો એક પણ કેસ ACB ના હાથે લાગ્યો ન હતો તેથી બેંકમાં કોઈપણ જાતની ગેરરીતિ જોવા મળે તો તરત ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફોન કરીને તેની જાણ કરવા કેશવકુમારે ગુજરાતની જનતાને અપીલ કરી હતી.
સાથે સાથે ગેરરીતિ અંગે ફોન કરીને જાણ કરનારનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.