આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 3મેને 1993થી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. વિશ્વમાં પ્રેસની સ્વતંત્રતાનું મહત્વ સમજાવવા તેમજ વિવિધ દેશોની સરકારને પ્રેસની ફ્રીડમની યાદ અપાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ ખાસ દિવસે યુનેસ્કો દ્વારા પ્રેસની સ્વતંત્રતા માટે યોગદાન આપનાર વ્યક્તિ, સંસ્થાને પુરષ્કાર આપવામાં આવે છે.(ખાસ કરીને જો કંઇ જોખમ ખેડીને કરવામાં આવ્યું હોય તો આ પુરષ્કાર કોલોમ્બિયન પત્રકાર ગ્લેઇર્મો કેનો સાઝાના માનમાં આપવામાં આવે છે. જેની તેના જ સમાચાર પત્રની ઓફિસ સામે હત્યા કરી દેવામાં આવી હતી.
આ દિવસે પ્રેસની સ્વંત્રતાના મૂલ્યોને ઉજવણી થાય છે તેમજ જે પત્રકારોએ પોતાની ફરજ નિભાવતા પ્રાણ ખોયા હોય તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
દર વર્ષે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેની ઉજવણી વિશ્વના અલગ-અલગ સ્થળે કરવામાં આવે છે. આ વર્ષે આ ઉજવણી ફિનલેન્ડ ખાતે કરવામાં આવી રહી છે.
મીડિયા લોકશાહીનો ચોથો પાયો ગણાય છે. લોકોના વિચારોને, તેમના અભિપ્રાયોને, વર્તમાન સામાજીક-રાજનૈતિક પ્રણાલીને નિષ્પક્ષતાથી રજૂ કરવા માટે મીડિયાને સ્વતંત્રતા હોવી જરૂરી છે. ઘણીવાર પ્રેસની સ્વતંત્રતા ધાર્મિક સંસ્થાઓ અથવા સરકાર દ્વારા હણાતી હોય છે. ઘણાં પત્રકારોને પોતાની ફરજ બદલ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.
પરંતુ દરેક અધિકાર અને પાવર સાથે મોટી જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જરૂરી છે તે સાથે જ તે સ્વતંત્રતાનો મર્યાદાપૂર્વકનો ઉપયોગ પણ જરૂરી છે.