વિશ્વ સંગીત દિવસ પર સંગીત વિશે ખાસ
દર વર્ષે 21 જૂનના રોજ વર્લ્ડ મ્યુઝિક ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો કન્સેપ્ટ સૌપ્રથમ ફ્રેન્ચ કલ્ચરલ મિનિસ્ટર જેક લેંગે શરૂ કર્યો હતો. ત્યારબાદ વિશ્વના કુલ 120 દેશોએ આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી.
મ્યુઝિકની અસરથી કોઇ પણ માનવી અજાણ નથી. કુદરતના દરેક કણમાં મ્યુઝિકનો અહેસાસ થાય છે. જેમકે, ઘુઘવતા દરિયાના મોજાનું સંગીત, પંખીઓના કલરવનું સંગીત, નદીઓના ઝરણાઓનું સંગીત, માનવની નસોમાં વહેતા લોહીની ધારાઓનું સંગીત વગેરેનો સમાવેશ થાય છે.
મ્યુઝિકમાં એટલી શક્તિ છે કે તેનાથી ઘણાં રોગોમાંથી પણ મુક્ત થવાય છે. જેને મ્યુઝિક થેરાપીના નામે ઓળખવામાં આવે છે. ડિપ્રેશન તેમજ પ્રસવ પીડામાં મ્યુઝિક થેરાપીથી અસરકારક પરિણામ મળે છે.
મ્યુઝિકને ગુજરાતીમાં સંગીત કહેવાય છે. જે મૂળ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ સમ + ગીત થાય છે. સમ એટલે યોગ્ય રીતે અને ગીત એટલે ગાવુ. આમ, સંગીતનો અર્થ થાય છે સારી રીતે કે યોગ્ય રીતે ગાવું.
તો આ મ્યુઝિક ડે પર તમે પણ સંગીતના સૂરોમાં ખોવાઇ જાઓ અને તેના પાવરને અનુભવો.