Connect Gujarat
ગુજરાત

તાપી : વ્યારા ખાતે ૨૭મા રાજ્યકક્ષાના આદિજાતી મહોત્સવનો શુભારંભ

તાપી : વ્યારા ખાતે ૨૭મા રાજ્યકક્ષાના આદિજાતી મહોત્સવનો શુભારંભ
X

તાપી જિલ્લામાં વ્યારા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ-ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ૨૭મા રાજ્યકક્ષાના આદિજાતી મહોત્સવની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ મંત્રી ઈશ્વર પટેલ, રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકર તથા તાપીના પ્રભારી અને નર્મદા શહેરી ગ્રામગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલની ઉપસ્થિતીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે યુવા સાંસ્કૃતિક મંત્રી ઈશ્વર પટેલે પ્રેરક ઉદબોધન કરતાં જણાવ્યું હતુ કે, સાંસ્કૃતિક કલા વારસો તેમજ સંગીત અને સાહિત્ય એ આપણી સંસ્કૃતિની આગવી ઓળખ છે. જે ભાવિ પેઢીમાં જળવાઈ રહે અને વિસરાતી જતી આપણી આદિવાસી સંસ્કૃતિના જતન, સંવર્ધન સાથે આદિવાસી કલાકારોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે સરકાર વર્ષ ૧૯૯૧થી આદિજાતી મહોત્સવનું આયોજન કરે છે. આદિજાતિઓના ઉત્કર્ષ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વનબંધુ યોજના હેઠળ છેલ્લા દસ વર્ષમાં રુપિયા ૯૦ હજાર કરોડનો ખર્ચ કરી સર્વાંગી વિકાસ કર્યો છે.તેમ જણાવી ઉમેર્યુ કે, આવા ઉત્સવોની ઉજવણીથી આદિકાળથી વસ્તી પ્રજાની સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ સરકાર કરી રહી છે. આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ થી લઈને પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધવાની પૂરતી તકો ઉપલબ્ધ કરાવીને, આ સરકારે આદિવાસીઓને અનોખુ ગૌરવ પ્રદાન કર્યું છે.

રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકરે જણાવ્યુ કે, રાજ્ય સરકારે ૨૪૧ જેટલી યોજનાના સઘન અમલીકરણ કરતા આદિજાતિ અને પછાત વિસ્તારોનો આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસ ઝડપી બન્યો છે. રાજ્યના ૫૨ તાલુકામાં વસતી ૯૮ લાખ જેટલી આદિવાસી પ્રજાની સંસ્કૃતિનો વારસો જાળવી રાખવો એ આપણા સૌનું કર્તવ્ય બની જાય છે. આઝાદીની લડાઈમાં શહીદી વહોરેલ આદિવાસી સપૂતોને યાદ કરી અલગ અલગ ભૌગોલિકતા ધરાવતી સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.તેમણે લોક્જીવનના આ અદભુત મેળાવડા સમા મહોત્સવ દરમિયાન લોકોને પરસ્પર સમજવાનો આનંદ માણવાનો મોકો મળશે. ગુજરાત ઉપરાંત સ્થાનિક તથા અન્ય રાજ્યોના મળી ૭૦૦થી વધુ કલાકારો પણ ભાગ લઈ રહેલ હોઈ આદિજાતી સંસ્કૃતિના આદાન-પ્રદાનથી પરસ્પરને સમજવાની સાથે માણવાની તક પણ કલા પ્રેમીઓને મળશે. ત્યારે આપણો આદિવાસી સમાજ તેની આગવી પરંપરાના જતન અને સંવર્ધન સાથે, વિકાસમાં પણ અગ્રેસર રહે તેવા રાજ્ય સરકારના પ્રયાસોમાં આપણે સૌ સહભાગી બનીએ તે ઇચ્છનીય છે.

તાપીના પ્રભારી અને નર્મદા શહેરી ગ્રામ ગૃહમંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા ભવ્ય ઉજવણી કરી વર્ષોથી પ્રકૃતિના પૂજકોની સંસ્‍કૃતિ, ઉત્‍સવ, વૈવિધ્યસભર જીવનશૈલીને ઉજાગર કરવાનો અવસર રાજય સરકારે પૂરો પાડયો છે.

ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્‍કૃતિની પરંપરાને જીવંત રાખવા રાજય સરકાર કટિબદ્વ છે. આદિવાસીઓનો ભવ્‍ય અને ગૌરવવંતો ઇતિહાસ છે. ગુજરાતમાં આદિવાસીઓ પ્રત્‍યે સંવેદના છે. તેમનામાં આઝાદી પહેલાંથી જ રાષ્‍ટ્રભકિત પડેલી છે. અંગ્રેજો સામે આઝાદી માટે શહીદી વ્‍હોરી છે એવા આદિવાસી સમાજના સમતોલ વિકાસ માટે સરકાર સંકલ્‍પબદ્વ છે.

સાંસદ પરભુભાઈ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ આદિવાસીઓના સર્વાંગીણ વિકાસ માટે અનેકવિધ યોજનાઓના અમલીકરણ સાથે, આદિવાસી હિતના અનેક નિર્ણયો લઈને, આપણા સમાજને અન્ય સમાજની હરોળમાં લાવવાના પ્રયાસો કર્યા છે. તેમ જણાવ્યું હતુ. આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભા ડોઢિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ.

આ પ્રસંગે આદિવાસી સાંસ્કૃત્તિક કલામંડળો પરંપરાગત આદિવાસી નૃત્યો અને વાદ્યોની સંગીતમય સૂરાવલીઓ સાથે ઉપસ્થિત મહાનુભાવોનું કરાયું હતુ. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા નૃત્ય સહિત વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કાર્યક્રમની શરુઆતમાં સ્વાગત પ્રવચન કલેક્ટર આર.જે. હાલાણી તથા અધિક કલેક્ટર બી. બી. વહોનીયાએ આભાર વિધી કરી હતી જ્યારે અરવિંદ ગામીતે આગવી શૈલીમાં સમગ્ર કાર્ય્ક્રમનું સફળ સંચાલનકર્યુ હતુ.

આ પ્રસંગે પોલિસવડા એન.એન.ચૌધરી, સ્વાતંત્ર્ય સેનાની શ્રી સન્મુખકાકા,આદિજાતી નિગમના ડીરેક્ટર પરેશ વસાવા, ન.પા.પ્રમુખ મહેરનોષ જોખી, વીર નર્મદ યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર ડો.જયરામ ગામીત સહિત મહાનુભાવો તથા કલાકારો ખુબ મોટી સંખ્યામાં ગ્રામ્ય-શહેરીજનો અને કલારસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story