• ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • સમાજના વિદ્યાર્થીને મારવામાં આવ્યો હતો માર

  • આરોપીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ

  • આંદોલનની ચીમકી ઉચ્ચારાય

સુરતના કોસંબા નજીક આવેલ પી.પી.સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા,ફતેસિંગ વસાવા, ધનરાજ વસાવા,અનિલ ભગત સહિતના સભ્યોએ આજે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી પહોંચી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર કોસંબા નજીક આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવવા મામલે અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી.જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો.
આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તેમ છતાં પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.