-
ભરૂચમાં આગ લાગવાના બનાવો
-
દિવાળીની રાત્રીએ 13 સ્થળોએ લાગી આગ
-
ફાયર ફાયટરો દોડતા રહ્યા
-
ફાયર બ્રિગેડની સતર્કતા
-
મોટી દુર્ઘટનાઓ ટળી
ભરૂચ શહેરમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે ૧૩ સ્થળોએ આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા જેમાં ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી
દિવાળીના પાવન તહેવારની ઉજવણી દરમિયાન ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં રાત્રે ફટાકડાના કારણે ૧૩ જેટલા સ્થળોએ આગ લાગવાના બનાવો નોંધાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો ફટાકડાનો આનંદ માણી રહ્યા હતા તે દરમિયાન કેટલીક જગ્યાએ સૂકા કચરાના ઢગલા, ઝાડની પાંદડીઓ અને મકાનની છત ઉપર આગ લાગી હતી.
આ અંગેની જાણ થતા જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે સતત કામગીરી હાથ ધરી હતી.
ફાયર ફાઇટરોએ પાણીના ટૅન્કર અને ફાયર વાહનોની મદદથી સમયસરની કાર્યવાહી કરી હોવાથી કોઈ જાનહાનિ કે મોટી આર્થિક નુકસાની થઈ નથી. આ અંગે ઈનચાર્જ ફાયર અધિકારી શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે, તહેવારના દિવસોમાં નગરપાલિકાએ વધારાના સ્ટાફ સાથે ત્રણેય શિફ્ટમાં ફાયર ટીમને તૈનાત રાખી હતી. જેના કારણે દરેક સ્થળે તાત્કાલિક પ્રતિસાદ મળી શક્યો હતો.
