અમદાવાદ : શહેરના 27 વિસ્તારોમાં રાત્રિ કરફયુ લદાયો, જુઓ શું છે કારણ
અમદાવાદ શહેરમાં સતત વધતા કોરોનાના સંક્રમણને કારણે શહેરના એસ.જી. હાઇવે સહિત 27 વિસ્તારોમાં રાત્રિ કરફયુની જાહેરાત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો ખુલ્લી રાખી શકાશે નહી.
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમ વિસ્તારમાં આવતી એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, બોપલ, સાયન્સસિટી રોડ, ઇસ્કોન વગેરે જગ્યાએ યુવાનો ટોળામાં બેસી રહેતાં હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ યુવાનો માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હતાં તેમજ કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન થતું ન હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું.
ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં રાતે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાંથી મેડીકલ સ્ટોરને બાકાત રાખવામાં આવ્યાં છે. આમ ફરી એક વાર શહેરના પશ્ચિમ વિસ્તરામાં અનેક સ્થળોએ રાત્રીના 10 વાગ્યા બાદ માર્કેટ અને બજારો બંધ રાખવામાં આવશે.