અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરતાં AAPના કાર્યકરો અને પોલીસ દોડતી થઈ હતી.
ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનૈતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી. દિવાળી વેકેશન હોય મોટાભાગના કર્મચારીઓ રજા પર છે. ત્યારે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળંી તોડી તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. કાર્યાલયની દેખભાળ કરતો કર્મચારી બપોરે કાર્યાલયને તાળુ મારીને પોતાના સંબંધીને ત્યાં ગયો હતો.
જે સાંજે કાર્યાલય પર પરત ફરતા પાર્ટી કાર્યાલયના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં હતું. ત્યારબાદ કર્મચારી દ્વારા પાર્ટીના અન્ય પદાઘિકારીઓને જાણ કરાતા તેઓ કાર્યલય પર પહોંચ્યા હતા, અને પોલીસને જાણ કરી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના દસ્તાવેજ ચોરી થવાની આશંકા છે. જોકે, કયા કયા સામાન સહિતના દસ્તાવેજોની ચોરી થઈ છે તે વિગત સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતું.