અમદાવાદ : વરસાદી પાણી ઓસરતા સ્થાનિકોની વેદના અને વ્યથા જાણવા પહોચી કનેક્ટ ગુજરાતની ટીમ...
અમદાવાદમાં 48 કલાક બાદ જ્યારે લોકોના ઘરમાંથી પાણી ઓસર્યા છે, ત્યારે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
અમદાવાદમાં 48 કલાક બાદ જ્યારે લોકોના ઘરમાંથી પાણી ઓસર્યા છે, ત્યારે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં અનેક વિસ્તારો અને સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી, ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમે દેવાસ ફ્લેટની મુલાકાત લઈ સ્થાનિકોની વેદના અને વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ શહેરના જીવરાજપાર્કમાં આવેલ દેવાસ ફ્લેટમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ હવે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. ભારે વરસાદથી ફ્લેટ સહિત નીચાણવાળા વિસ્તારમાં અચાનક પાણી આવ્યું હતું. જેના કારણે લોકોના ઘરમાં કેડસમા પાણી ભરાયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી આવી જતાં લોકોના ઘરમાં લગભગ 6થી 7 ફૂટ સુધી પાણી ફરી વળ્યું હતું. જોકે, હવે આ પાણી ઓસરતા લોકોની ઘરવખરી સહિત અનાજ પાણીમાં પલળી ગયું છે, ત્યારે કોર્પોરેશન દ્વારા આ સોસાયટીમાં દવા છાટવાનું તેમજ ગંદકી દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સોસાયટીના રહીશો છેલ્લા 24 કલાકથી પણ વધુ સમયથી લાઈટ અને પાણી વગર રહ્યા છે. પાણી ભરાવાના કારણે કીચડ અને ગંદકી પણ ફેલાઈ હતી, જેની પણ તસવીરો સામે આવતા અહીંના સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, ત્યારે હાલ તો સ્થાનિકોને યોગ્ય સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.