Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : “આરોપીને શોધો કહી” મહેસાણાના દલિત પરિવારે યુવતીના મૃતદેહને સ્વીકારવાનો કર્યો ઇનકાર..!

X

મહેસાણાની દલિત યુવતીનો મૃતદેહ મળવાનો મામલો

યુવતીની દુષ્કર્મ બાદ હત્યાનો પરિવારે કર્યો છે આક્ષેપ

યુવતીનો મૃતદેહ સ્વીકારવા નથી માંગતા પરિવારજનો

અમદાવાદની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ પાસે દલિત સમાજના યુવાનો અને નેતાઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કારણે કે, દલિત પરિવાર યુવતીનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી. મહેસાણાના વાલમ ખાતે રહેતી 25 વર્ષીય દલિત યુવતી તોરણવાળી માતાના મંદિર પાસે આવેલા ઓશિયા મોલમાં છેલ્લા 2 વર્ષથી નોકરી કરતી હતી. ગત તા. 25મી એપ્રિલે સાંજે નોકરીથી છૂટીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે પોતાના મમ્મી સાથે ફોન ઉપર રોજિંદી વાત કરતી હતી. અચાનક મોબાઈલ ફોન હોલ્ડ અને ત્યારબાદ સ્વીચ ઓફ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. જોકે, રાત્રે 10 વાગ્યા સુધી પણ યુવતી ઘરે ન પહોંચતા પરિવારે વિસનગર પોલીસ મથકે જાણ કરી હતી.

પોલીસ ફરિયાદ બાદ પોલીસે યુવતીને શોધવાનું આશ્વાસન આપતા પરિવારને થોડી રાહત થઈ પણ પોતાની જુવાનજોધ દીકરી માટે પરિવાર પણ મહેસાણાના વિવિધ વિસ્તારોમાં યુવતીની શોધખોળ હાથ ધરી હતી. યુવતી જે મોલમાં નોકરી કરતી હતી, તે સ્થળે મોલમાં પણ પરિવાર અડધી રાત્રે યુવતીની શોધખોળ માટે ગયો, ત્યારે મોલના મેનેજરે પણ આશ્વાસન આપ્યું કે, સવારે 10 કલાકે યુવતી નોકરી પર આવેશે, ત્યારે પરિવારને જાણકારી આપીશું. સતત 2 દિવસની શોધખોળ બાદ અચાનક વાસણા મર્ચન્ટ કોલેજ પાસે એરંડાના ખેતરના ખેડૂતે પોલીસને જાણકારી આપી કે, કોઈ અજાણી યુવતીનો નગ્ન અને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ખેડૂતના ફોન બાદ તુરંત પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુમ થયેલ યુવતીના પરિવારને જાણકારી આપી મૃતદેહના ઓળખ માટે બોલાવ્યા, ત્યારે યુવતીના પરિવારજનોને ફાડ પડી હતી. યુવતીના શરીર ઉપર બચકા ભરવામાં આવ્યા હોય તેવા નિશાન પણ હતા, અને યુવતીનું મોઢું પથ્થર મારીને છૂંદી નાખવામાં આવ્યું હતું, જેથી યુવતીની ઓળખ ન થાય. પરંતુ ખેતરથી અડધો કિલોમીટર દૂર બેગ મળી જેમાં યુવતીનું આઈકાર્ડ અને આધારકાર્ડ મળી આવતા પરિવારે યુવતીની ઓળખ કરી. પોલીસ દ્વારા યુવતીનો મૃતદેહ પોસ્ટમોટર્મ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ, શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ફરિયાદ કરી રહ્યા છે કે, યુવતી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચોક્કસ તપાસની ખાતરી આપવામાં આવે અને તાત્કાલિક અસરથી આરોપીઓને શોધવામાં આવે નહીં આવે તો મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તો બીજી તરફ, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા પહોચ્યા હતા.

Next Story