-
આત્રેય ઓર્ચિડ એપા.માં આગ લાગવાનો મામલો
-
ચોથા ફ્લોર પર લાગેલી આગથી દોડધામ મચી
-
લોકો જીવ બચાવવા માટે પાંચમા માળેથી કુદ્યા
-
ફાયર લાશ્કરોએ 27 લોકોનું કર્યું રેસ્ક્યુ
-
લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ
અમદાવાદનાં હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી,અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે પાંચમાં માળેથી કૂદ્યા હતા. ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.
અમદાવાદનાં હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હોવાનું કહેવાય છે. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જેમ જેમ ઉપરના માળે આગ લાગી, તેમ તેમ લોકોએ પોતાને બચાવવા માટે મરણિયા પ્રયાસમાં પાંચમાં માળેથી કૂદી પડ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ભેગા થયા અને કૂદકા મારનારી મહિલા સહિતના લોકોને બચાવવા માટે ગાદલા અને ચાદરનો ઉપયોગ કર્યો હતો, જેનાથી વધુ ઇજાઓ કે જાનહાનિ ટાળી શકાય હતી.
બીજી તરફ અમદાવાદ ફાયર વિભાગ અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, તીવ્ર ગરમી અને આગના ઝબકારાથી બચાવ કામગીરી દરમિયાન 11 ફાયર ફાઇટરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી, પરંતુ પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે તેમણે પ્રયાસો ચાલુ રાખ્યા હતા.
આ ઘટનામાં કુલ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.તમામને સારવાર માટે એપોલો હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ફાયર અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે 27 લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.