અમદાવાદ : સરકારી અનાજ સગેવગે કરવાનો કારસો, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

Update: 2020-10-20 10:59 GMT

અમદાવાદના શાહીબાગ વિસ્તારના ગરીબ રેશનકાર્ડધારકોને આપવાના સરકારી ઘઉં અને ચોખાને બારોબાર વેચી દેવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું છે. મહિલા દુકાનદાર તેના વહીવટદાર અને ટ્રક માલિક સહિત 5 સામે ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ સેક્ટર 2 ની સ્ક્વોડને બાતમી મળી હતી કે, નરોડા જીઆઇડીસી ફેઝ 3માં મૂડસોનિક કંપનીની બાજુના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો લાવવામાં આવ્યો છે. જેથી PSI અને ટીમે નરોડા જીઆઇડીસી ખાતે ગોડાઉનમાં દરોડો પાડતાં સરકારી રેશનિંગના આશરે 16 હજાર કિલો ઘઉં અને ચોખા ભરેલી ટ્રક ઉભેલી જણાય આવી હતી. ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર (રહે. મેઘાણીનગર), ટ્રક માલિક મદનલાલ તૈલી (રહે. નરોડા ) અને ગોડાઉન માલિક મહેશ નાથાણી (રહે. કુબેરનગર) મળી આવ્યા હતા. ત્રણેયની પૂછપરછ કરતા શાહીબાગ ઘોડાકેમ્પ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઇઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સરકારી અનાજની દુકાને લઇ જવાનો હતો

ટ્રક માલિક મદન તૈલીએ આ જથ્થો ગીતાબેનના ત્યાં ઉતારવાની જગ્યાએ ગોડાઉનમાં લાવવા કહ્યું હતું. જેથી આ જથ્થો અહીંયા લાવ્યા હતા. પોલીસે આ બાબતે પુરવઠા ખાતાના અધિકારીને જાણ કરી હતી. વધુ પૂછપરછ કરતાં જથ્થો ગીતાબેનના દુકાને લાવવાનો હતો પરંતુ દુકાનના વહીવટદાર પરષોત્તમ તિવારીએ ગરીબોનો સરકારી અનાજનો જથ્થો ટ્રક માલિક મદન તૈલીને ગમે તે વેપારીને વેચી દેવા કહ્યું હતું. પોલીસ અને પુરવઠા વિભાગે સમગ્ર જથ્થો સીઝ કરી ત્રણ શખ્સની ધરપકડ કરી છે. જ્યારે દુકાન માલિક અને વહીવટદારની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

Tags:    

Similar News