અમદાવાદ : રિવફ્રન્ટ નજીક કેમિકલયુક્ત પાણીથી હજારો વૃક્ષોનું નિકંદન છતાં "AMC" મૌન..!
દધીચિ બ્રિજ નીચે ડાઇંગ ઈન્ડસ્ટ્રીમાંથી કેમિકલયુક્ત પાણી ગેરકાયદેસર રીતે મુક્ત કરાતું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.
એકબાજુ અમદાવાદ શહેરમાં પર્યાવરણને બચાવવા માટે AMC અને સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. એક તરફ શહેરીજનોને શુદ્ધ ઓક્સિજન મળે તે માટે હજારો વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રિવરફ્રન્ટ વિસ્તારમાં હજારો વૃક્ષોનો સોથ વળી ગયો છે. જેમાં કેમિકલયુક્ત પાણીથી વર્ષોથી ઉછરેલા વૃક્ષ ઘડીકમાં બળીને ખાખ થઈ જતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના રિવરફ્રન્ટ નજીક આવેલ હજારો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે. દધીચિ બ્રિજ નીચે ડાઇંગ ઈન્ડસ્ટ્રીમાંથી કેમિકલયુક્ત પાણી ગેરકાયદેસર રીતે મુક્ત કરાતું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. અહી 8 હજાર ચોરસ મીટર વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા 7 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, દૂધેશ્વર સ્થિત ડાઈંગ ઈન્ડસ્ટ્રીમાંથી સતત કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાથી જમીન પણ પ્રદૂષિત થઈ રહી છે. આ કારણે બચી ગયેલા વૃક્ષો પણ નાશ પામી રહ્યા છે. વૃક્ષોને પ્રાણીઓથી બચાવવા વાયરનું ફેન્સિંગ પણ કર્યું હતું. જોકે, છેલ્લા 4 મહિનાથી ડાઈંગ ઇન્ડસ્ટ્રી દ્વારા ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની સતત ફરિયાદ પણ ઉઠી છે. પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી હવે અહીના વિસ્તારમાં ઉછરેલા 35 હજારથી વધુ વૃક્ષો સામે જોખમ ઊભું થયું છે.