અંકલેશ્વર : શહેરી અને નોટીફાઇડ એરિયામાં જનજીવન થંભી ગયું , એક દિવસ માટે શહેર બન્યું નિર્જીવ

Update: 2020-03-22 09:45 GMT

દેશના અર્થતંત્રને ધબકતુ રાખવામાં મહત્વનું યોગદાન આપનારા અંકલેશ્વરમાં જનતા કરફયુને ભારે સફળતા મળી હતી. શહેરી તથા નોટીફાઇડ વિસ્તારમાં લોકોએ સ્વયંભુ ઘરોમાં કેદ થઇ કોરોના વાયરસ સામે લડી લેવાનો જુસ્સો બતાવ્યો હતો.

અંકલેશ્વર એટલે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતું શહેર… અંકલેશ્વર ભૌગોલિક રીતે બે ભાગમાં વહેંચાયેલું છે.. એક શહેરી અને બીજો નોટીફાઇડ વિસ્તાર.. રવિવારના રોજ જનતા કરફયુ દરમિયાન બંને વિસ્તારોમાં લોકોએ સ્વયંભુ બંધ પાળ્યો હતો. જીવન જરુરિયાતની વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રહી હતી. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અંકલેશ્વરવાસીઓએ પોતાને ઘરોમાં કેદ કરી લીધાં હતાં. લોકોએ જનતા કરફયુનો અમલ કરતાં રસ્તાઓ સુમસાન બની ગયાં હતાં. બીજી તરફ શહેરમાં જનજીવન થંભી જતાં વહીવટીતંત્ર તેની કામગીરીમાં જોતરાય ગયું હતું. રસ્તાઓ તથા અન્ય સ્થળોએ જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી. લોકોએ પણ એક દિવસના જનતા કરફયુ દરમિયાન ઘરોમાં વિવિધ પ્રવૃતિઓ કરી પરિવારની ભાવનાને વધુ બળવત્તર બનાવી હતી. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકોના જોમ અને જુસ્સાના કારણે વડાપ્રધાને કરેલી અપીલ સાચા અર્થમાં સાર્થક થઇ હતી.

Similar News