અંકલેશ્વર : ઓરેંજ હોસ્પિટલને કોવીડની માન્યતા મળી, વેપારીઓએ કર્યો વિરોધ

Update: 2020-08-01 10:40 GMT

ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો હોવાથી રાજય સરકારે ચાર ખાનગી હોસ્પિટલોને કોરોનાના દર્દીઓની સારવાર માટે મંજુરી આપી છે. જેમાં અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલી ઓરેંજ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ હોસ્પિટલ ભરચક વિસ્તારમાં આવેલી હોવાથી હોસ્પિટલની આસપાસ દુકાનો ધરાવતાં વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો.

વેપારીઓએ જણાવ્યું હતું કે, શોપીંગ સેન્ટરમાં અવરજવર કરવા માટે માત્ર એક જ સીડી અને લીફટની સુવિધા છે અને આવા સંજોગોમાં હોસ્પિટલ ખાતે કોવીડના દર્દીઓને લાવવામાં આવશે તો સંક્રમણનો ખતરો વધી જશે. જિલ્લા કલેકટરે સ્થળ નિરિક્ષણ કર્યા બાદ હોસ્પિટલને મંજુરી આપવી જોઇએ. અન્ય વેપારીઓએ પણ હોસ્પિટલના કારણે સંક્રમિત થવાની ભિતી વ્યકત કરી છે.

અંકલેશ્વરમાં કોરોના વાયરસના દર્દીઓ ઝડપથી વધી રહયાં છે તેમજ મૃત્યુદર પણ વધારે છે આવા સંજોગોમાં સારવાર માટે માત્ર જયાબેન મોદી હોસ્પિટલ ઉપલબ્ધ છે. અંકલેશ્વરના દર્દીઓને સારવાર માટે ભરૂચ, વડોદરા અથવા સુરત જવું પડે છે તેથી અંકલેશ્વરની સ્થાનિક હોસ્પિટલને સરકારે મંજુરી આપી છે. વેપારીઓના વિરોધના પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સમજાવટથી મામલો થાળે પાડયો હતો.

Similar News