ભરૂચ : નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભુદેવો થયાં એકત્ર, સમુહમાં બદલી જનોઇ
ભરૂચમાં રક્ષાબંધનના પાવન અવસરે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભુદેવોએ સોશિયલ ડીસ્ટન્સીંગના અમલ સાથે પોતાની જનોઇ બદલી હતી.
રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઇને રાખડી તો બાંધે જ છે પણ આજના પાવન અવસરે ભુદેવો પોતાની જનોઇ બદલે છે. આ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે વિવિધ સ્થળોએ જનોઇ બદલવાના ઓનલાઇન કાર્યક્રમ યોજાયાં હતાં. ભુદેવો એક સ્થળે એકત્ર થવાના બદલે ઘરે રહી જનોઇ બદલવાનું પસંદ કર્યું હતું. ભરૂચ શહેરની વાત કરીએ તો ઝાડેશ્વરમાં પાવન સલિલા મા નર્મદાના તટે સંસ્કૃત પાઠશાળા આવેલી છે જયાં ઋુષિકુમારો વેદ અને શાસ્ત્રોકત વિધિઓનો અભ્યાસ કરે છે. રક્ષાબંધનના દિવસે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભુદેવોએ એકત્ર થઇ સોશિયલ ડીસ્ટન્સ જાળવી જનોઇ બદલી હતી. મંત્રોચ્ચારના કારણે પાઠશાળા ખાતે ભકિતસભર માહોલ જોવા મળ્યો હતો.