ભરૂચ : ઝઘડીયામાં રાખડીના વેપારીઓને નડયો કોરોના, બજારમાં ઘટી ઘરાકી

Update: 2020-08-01 09:26 GMT

ભાઇ અને બહેના પવિત્ર પ્રેમને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વ આડે ગણતરીના દીવસો બાકી છે પણ બજારમાં ખરીદી નહિ નીકળતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાય ગયાં છે.

શ્રાવણ મહિનાના પ્રારંભની સાથે તહેવારોની પણ શૃંખલા શરૂ થઇ ચુકી છે. સોમવારના રોજ ભાઇ અને બહેનના નિસ્વાર્થ પ્રેમને અભિવ્યકત કરવાના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરાશે. પણ હાલમાં ચાલી રહેલાં કોરોના વાયરસના કહેરના કારણે લોકો બજારોમાં રાખડી ખરીદવામાં ડર અનુભવી રહયાં છે.

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં ઝઘડીયામાં રાખડીઓનું વેચાણ કરતાં વેપારીઓએ હંગામી દુકાનો ઉભી કરી દીધી છે પણ તેઓ ઘરાકો ખરીદી માટે આવે તેની રાહ જોઇ રહયાં છે. લોક ડાઉન અને કોરોના વાયરસની સીધી અસર તેમના ધંધા પર જોવા મળી રહી છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 20 વર્ષથી રાખડીનું વેચાણ કરે છે પણ આ પ્રકારની મંદી પ્રથમ વખત જોઇ છે.

કોરોનાના કારણે દુકાનો ખોલવા અને બંધ કરવાના સમયમાં વારંવાર ફેરફાર થતો હોવાથી પણ મુશ્કેલીમાં વધારો થયો છે. રક્ષાબંધન આડે બે દિવસનો સમય બાકી છે ત્યારે છેલ્લી ઘડીની ખરીદી પર વેપારીઓ મદાર રાખી બેઠા છે.

Similar News