ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર આવેલી લુવારા ચોકડી પાસે વધી રહેલા અકસ્માતના બનાવોને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. સોમવારના રોજ સવારે આજ સ્થળે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો.
ભરૂચના લુવારા ગામ નજીક ગત મોડી રાત્રીના ટેન્કર અને લકઝરી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત થયાં હતાં. આ અગાઉ પર આજ સ્થળે લકઝરી બસ કેમિકલ ભરેલાં ટેન્કર સાથે અથડાતાં લકઝરી બસમાં સવાર ત્રણ મુસાફરો જીવતાં ભડથું થઇ ગયાં હતાં. લુવારા ચોકડી પાસે છાશવારે સર્જાઇ રહેલાં અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. ગામલોકોએ જણાવ્યુ હતું કે અતિથિ હોટલ પાસે જે ક્રોસિંગ ખુલ્લુ હતું ત્યાંથી વાહનો ક્રોસિંગ કરતા હતાં. પરંતુ અતિથિ હોટલ પાસેનું ક્રોસિંગ બંધ કરાતા લુવારા ગામ પાસેના યુટર્ન પર વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહી થતાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો.