ભરૂચ : સતત 3 દિવસથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા, બિસ્માર માર્ગના કારણે ટ્રકે મારી પલટી

Update: 2020-09-25 08:06 GMT

વર્ષ 2017માં ભરૂચના કેબલ સ્ટેઇડ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયા બાદ ટ્રાફિકની સમસ્યા હળવી બની હતી. પરંતુ ચોમાસા દરમ્યાન નવા તથા જુના સરદાર બ્રિજ પર પડી ગયેલાં મસમોટા ખાડાઓના કારણે સતત ત્રીજા દિવસે પણ ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે, ત્યારે બન્ને બ્રિજના માર્ગ પર પડેલા ખાડાના સમારકામમાં તકેદારી લેવા અંગે નેશનલ હાઇવે ઓથોરીટી સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચના નેશનલ હાઇવે પરથી રોજના 65 હજાર કરતાં વધારે વાહનોની અવરજવર રહે છે. નવા સરદાર બ્રિજ પર પડેલા મસમોટા ખાડાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થતાં હોવાથી ટ્રાફિકજામ થઇ રહ્યો છે. જોકે સતત ત્રણ દીવસથી વડોદરાથી સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામ થતાં વાહનચાલકો અટવાયા હતા, ત્યારે શુક્રવારના રોજ પાલેજ ગામ સુધી લગભગ 25 કીમીથી વધુનો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ઉપરાંત સરદાર બ્રિજ નજીક નીલકંઠેશ્વર મંદિર જવાના માર્ગ પર પડેલા ખખડધજ ખાડાના કારણે એક ટ્રક પણ પલટી મારી ગઈ હતી. જોકે ટ્રાફિકજામના કારણે વહેલા નીકળવાની લ્હાયમાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે હવે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા વહેલીતકે બિસ્માર માર્ગનું સમારકામ કરાવવામાં આવે તેવી અનેક વાહનચાલકોની માંગ છે.

Tags:    

Similar News