ભરૂચ: ટ્રાવેલ્સ સંચાલકે લોકડાઉન થવાનું છે એવી ખોટી અફવા ફેલાવી, પછી શું થયું જુઓ
ભરૂચમાં લોકડાઉન થવાનું છે એવી ખોટી અફવા ફેલાવનાર ટ્રાવેલ્સ સંચાલકની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક ગજાનંદ કોમ્પ્લેક્ષમાં દુકાન નં.12 માં આવેલા રાઠોડ એન્ડ શ્રી લક્ષ્મી ટ્રાવેલ્સ એજન્સીનાં સંચાલક થનારામ જાટે તેમની પાસે બહારનાં રાજયમાં જવા માટે ટ્રાવેલ્સની ટિકિટ લેવામાં આવતા પરપ્રાંતિય શ્રમજીવી વર્ગને ભરૂચમાં લોક ડાઉન થવાનું છે એવી વાત કહી ઘણી ટિકિટ બુક કરી હતી.
લોક ડાઉનના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જશે એવા ડરના કારણે લોકોએ તેમની પાસે ટિકિટ બુકિંગ માટે પડાપડી કરી હતી. પોતાના આર્થિક લાભ માટે ખોટી અફવા ફેલાવનાર ટ્રાવેલ્સ સંચાલકની ભરૂચ સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.